Charchapatra

કુરિવાજોને જાકારો આપીએ

માનવ ઉત્પત્તિ સાથે જ વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક છે એમ કહીએ તો ખોટું નથી.હજુ પણ સમાજમાં કુરિવાજો અને અંધશ્રદ્ધા પ્રત્યે શ્રદ્ધા રાખવામાં આવે છે તેવા સમયે ઉજમબેનનું અવસાન 85 વર્ષની વયે થતાં લવજીભાઈ તથા તેમના પુત્ર એ મૃતકની પાછળ કરવાપાત્ર થતી સૂતક કાઢવું, બારમા અને તેરમાની વિધિ ન કરવાનો નિર્ણય કરી તમામ માનવી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળે છે તે મુજબ મરણ પછીની કોઈ વિધિ ન કરવામાં આવે તો જીવ ગતે ન જાય, પુનઃજન્મ મળે તે પ્રકારના ડર બતાવવામા આવે તેવા સમયે આવો નિર્ણય બધું શીખવી જાય  છે. પુત્રની સાથે આ  બાબતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે જ્યારે મા, બાપ જૈફ વયે પહોંચે ત્યારે સેવાચાકરી ન કરતાં  હોવાના કિસ્સાઓ તેમ જ જીવતાં હોય ત્યારે માબાપને ઘરમાંથી કાઢી મૂક્યાનો જાણીતા ઉદ્યોગપતિનો કિસ્સો અખબારમાં પ્રસિદ્ધ થયો હતો.મરણ પછી અખબારમાં મોટી જાહેરાતો તથા વિધિઓ કરે છે. જો કે કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ છે.

પુત્રના પિતા 90 વર્ષની વય હોવા છતાં પહેલેથી જ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હોવાથી જ આ શક્ય બન્યું છે. ધાર્મિક હોવું ન હોવું એ માનવીની અંગત બાબત છે, પરંતુ અતિ ધાર્મિકતા, અંધશ્રદ્ધામાં ન પરિણમે તે બાબત છે. આ કિસ્સા ઉપરથી એટલું જરૂર કહી શકાય કે મરણ પછી કોઈ કોઈને નડતો નથી અને નડવા આવવાનો નથી. જે કોઈ અડચણો ઊભી થાય છે તે જીવતા માનવ જ કરે છે માટે માનવીય અભિગમ અપનાવી સદ્ગુરુ કબીર સાહેબ અને ગૌતમ બુદ્ધ દ્વારા પ્રયોજેલ માર્ગે જીવન વિતાવીએ,બીજાના જીવનમાં જીવતાં જીવતાં ઉજાસ પાથરીએ.
સુરત     -ચંદ્રકાન્ત રાણા વ્યાસ  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top