Latest News

More Posts

શહેરના ભુરાવાવ, કલાલ દરવાજા સહિતના વિસ્તારોમાં શ્વાનો બેફામ બન્યા

ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ: તંત્ર દ્વારા વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાયો

ગોધરા: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો રહ્યો છે. પાલિકા તંત્રની ઉદાસીનતા વચ્ચે રખડતા શ્વાનોએ હવે લોકો પર હુમલા કરવાનું શરૂ કરતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે. તાજેતરમાં ગોધરા શહેર અને નજીકના ભામૈયા વિસ્તારમાં માત્ર 24 કલાકના ગાળામાં જ 11 જેટલા લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરી ઘાયલ કર્યાના બનાવો સામે આવ્યા છે.

શહેરમાં ખાસ કરીને ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓ, કલાલ દરવાજા, નગરપાલિકા રોડ, ચિત્રા સિનેમા અને જૂની પોસ્ટ ઓફિસ જેવા ભરચક વિસ્તારોમાં શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ટોળે વળીને બેસતા આક્રમક શ્વાનોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને નાના બાળકો ઘરની બહાર રમવા જતા ડરે છે અને વૃદ્ધો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગોધરા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને શ્વાનોને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં, પાંજરે પૂરવાની કામગીરી થતી નથી જેના કારણે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી.

સવારથી મોડી રાત સુધીમાં બનેલા વિવિધ બનાવોમાં કુલ 11 લોકો શ્વાન કરડવાથી ભોગ બન્યા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમને પ્રાથમિક સારવાર અને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ, વધતા જતા બનાવોને ધ્યાને લઈ હોસ્પિટલમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

To Top