વસંત પંચમીના રોજ મહાકુંભનું ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન ચાલુ છે. છેલ્લા અમૃત સ્નાનમાં 1.63 કરોડ લોકોએ સ્નાન કરવાનો લાભ લીધો. બીજી તરફ વિવિધ અખાડા પણ મહાસ્નાનમાં શામેલ થઈ રહ્યા છે. હાથમાં તલવાર-ગદા, ડમરુ અને શંખ, શરીર પર રાખ, આંખો પર કાળા ચશ્મા. ઘોડા અને રથની સવારી, હર હર મહાદેવનો જાપ કરતા, સંતો અને ઋષિઓ સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે.

મળસ્કેથી સંગમ સ્નાન શરૂ થઈ ગયુ હતું. સૌ પ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા હતા. ત્યારબાદ કિન્નર અખાડાએ સૌથી મોટા જુના અખાડા સાથે અમૃત સ્નાન કર્યું. સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો સંગમમાં ઉમટી પડ્યા હતા. લોકો નાગા સાધુઓના પગની ધૂળ પોતાના કપાળ પર લગાવી રહ્યા હતા. અમૃત સ્નાન જોવા માટે 30 થી વધુ દેશોના લોકો પણ સંગમ પહોંચ્યા છે. હેલિકોપ્ટરથી સંગમ પર 20 ક્વિન્ટલ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 10 કિમી સુધી ભક્તોની શોભાયાત્રા નીકળી છે. લોકો પ્રયાગરાજ જંકશનથી 8 થી 10 કિમી ચાલીને સંગમ પહોંચી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને લાટ હનુમાન મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. મેળા વિસ્તારના બધા રસ્તાઓ એક-માર્ગી છે. આજે મહાકુંભનો 22મો દિવસ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 1.63 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી 34.97 કરોડથી વધુ લોકોએ ડુબકી લગાવી છે.
મહાકુંભ મેળામાં 60 હજારથી વધુ સૈનિકો તૈનાત છે. ભીડને સંભાળવા માટે 100 થી વધુ નવા IPS અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરથી ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. 2750 સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. લખનૌમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. CM યોગી પોતે સવારે 3 વાગ્યાથી ડીજીપી, ગૃહ સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે દેખરેખ રાખી રહ્યા છે.

તપસ્વી નગરમાં પંચ ધુની તપસ્યાનો પ્રારંભ
તપસ્વી નગરી મહાકુંભમાં વસંત પંચમીથી એક ખાસ પ્રકારની સાધના શરૂ થઈ છે. આ સાધનાને પંચ ધુની તપસ્યા કહેવામાં આવે છે. જેને સામાન્ય ભક્તો અગ્નિસ્નાન સાધના તરીકે પણ ઓળખે છે. આ સાધનામાં સાધક પોતાની આસપાસ સળગતા અગ્નિના અનેક વર્તુળો બનાવે છે અને તેમની વચ્ચે બેસીને પોતાની સાધના કરે છે. જે આગની હળવી જ્વાળા માનવ ત્વચાને બાળી શકે છે તે અગ્નિની જ્વાળા કરતાં અનેક ગણી વધુ તીવ્ર ગરમીના વર્તુળમાં બેસીને આ તપસ્વીઓ પોતાનું ધ્યાન કરે છે.