કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. લોકાયુક્ત પોલીસે જણાવ્યું હતું કે સિદ્ધારમૈયા અને તેમની પત્ની પાર્વતી સહિત ચાર આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
તપાસ અધિકારીઓએ ફરિયાદી સ્નેહમયી કૃષ્ણાને જણાવ્યું હતું કે પુરાવાના અભાવે બંને સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી. આ મામલે અંતિમ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સિદ્ધારમૈયા અને તેમની પત્ની ઉપરાંત, તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને જમીન માલિક દેવરાજુ પણ આરોપી છે. 7 ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે સિદ્ધારમૈયાને રાહત આપતા MUDA કેસ CBIને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે આરટીઆઈ કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.
27 જાન્યુઆરી- હાઈકોર્ટે ED નોટિસ પર સ્ટે આપ્યો
27 જાન્યુઆરીએ કર્ણાટક હાઈકોર્ટે સીએમ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને મોકલવામાં આવેલી ED નોટિસ પર રોક લગાવી દીધી હતી. મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા પાર્વતીને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને 28 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે EDના બેંગલુરુ સ્થિત કાર્યાલયમાં પુરાવા અને રેકોર્ડ રજૂ કરવા માટે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
17 જાન્યુઆરીએ ED એ સીએમ સિદ્ધારમૈયા અને અન્ય લોકોની 300 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી. આ અંતર્ગત આ લોકોની 142 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. ED દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જપ્ત કરાયેલી મિલકતો અલગ-અલગ લોકોના નામે નોંધાયેલી છે. આ લોકો રિયલ એસ્ટેટના વ્યવસાયી અને એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
MUDA કેસ શું છે?
1992માં શહેરી વિકાસ સંસ્થા મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) એ રહેણાંક વિસ્તારો વિકસાવવા માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરી હતી. બદલામાં જમીનમાલિકોને MUDA ની પ્રોત્સાહન 50:50 યોજના હેઠળ વિકસિત જમીનમાં 50% જમીન અથવા વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હતી.
