છેલ્લાં ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયેલો છે, તેના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે તો જેઓ પાસે નોકરી છે તેઓ પાસે પુરતું કામ નથી. તેના લીધે રત્નકલાકારોની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. રત્નકલાકારોની મદદ કરવા લાંબા સમયથી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી હતી, તેના પગલે રાજ્ય સરકાર દ્વારા પાછલા અઠવાડિયે રત્નકલાકારો માટે એક આર્થિક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ રાહત પેકેજ રત્નકલાકારોને રાહત આપનારું નહીં હોય તેઓ નાખુશ થયા છે અને પોતાની નારાજગી મુખ્યમંત્રીને પત્ર લખી વ્યક્ત કરી છે.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે હાલ 13,500 રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે પરંતુ આ સહાય પૂરતી નથી. રત્ન કલાકારોની હાલત દયનીય છે અને તેમને બાળકના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે તે માટે સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માગણી કરવામાં આવી છે.
યુનિયને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને રત્ન કલાકારોના હક્કોનું રક્ષણ નથી થતું. મહત્ત્વની વાત એ છે કે સરકાર તરફથી આજદિન સુધી રત્ન કલાકારોની કોઈ સત્તાવાર નોંધણી કરવામાં આવી નથી, જેના કારણે તેઓ કોઈપણ સરકારી યોજનામાં પોતાને યોગ્ય રીતે સાબિત કરી શકતા નથી.
રાહત પેકેજનો લાભ લેવા રત્ન કલાકાર પાસે જે પુરાવા માંગવામાં આવે છે, તે જમા કરાવવા રત્નકલાકાર માટે મુશ્કેલ છે. ઘણા રત્નકલાકારો પાસે નોકરીના સત્તાવાર દસ્તાવેજો નથી. કારણ કે તેઓ અસંગઠિત રીતે અથવા નાનકડા કારખાનાઓમાં કામ કરે છે. એ માટે પુરાવા રજૂ કરવાના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી યુનિયને કરી છે.
પત્રમાં યુનિયને રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે કે રત્ન કલાકારોનો રાજ્ય સ્તરે સર્વે કરાવવો જોઈએ અને તેનું આધારે યોગ્ય રીતે સહાય આપવામાં આવે. આ પગલાંના અભાવમાં હજારો પરિવારના બાળકોના શિક્ષણ પર ઘાતક અસર થઈ રહી છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું કે, હજુ સુધી સરકાર રત્ન કલાકારોને કોઈ ઓળખ આપી શકી નથી. આવાંમાં આ તમામ દસ્તાવેજ ક્યાંથી લાવશે? સરકારએ આ વાતની ગંભીરતાથી નોંધ લઈ પગલાં લેવું જોઈએ.