Gujarat

જેસોર અભયારણ્યનો રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમાવેશ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે.

રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝિટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એની પણ કાળજી લેવા વન વિભાગને સૂચનો કર્યા હતા.

તેમણે આ હેતુસર ઇકો ટુરિઝમને વેગ આપવા સાથે વિઝિટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવાના દિશાનિર્દેશો બેઠકમાં આપ્યા હતા. ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યુ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અભયારણ્ય/નેશનલ પાર્કમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા, ઓપ્ટિકલ ફાઇબર, રિન્યૂએબલ એનર્જી, પાવર માટે ટ્રાન્સમિશન લાઈન વગેરે બાબતોની 18 જેટલી વિવિધ દરખાસ્તો આ બેઠકમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી.

Most Popular

To Top