World

લેબનોનમાં ઘુસી મોટો હુમલો કરવાની ઈઝરાયેલની તૈયારી, ભારત સરકારે ખાસ એડ્વાઈઝરી જારી કરી

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચરમસીમા પર છે. બંને તરફથી રોકેટ અને મિસાઈલનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહ સાથે વધતા સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલી સેનાના વડાએ સૈનિકોને લેબનોનમાં જમીન પર હુમલો કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ વિરૂદ્ધ મોટા હુમલાઓ દુશ્મનના વિસ્તારમાં પ્રવેશવાનો રસ્તો સાફ કરી શકે છે.

આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યુએસ પ્રમુખ જો બિડેને મધ્ય પૂર્વમાં સંપૂર્ણ યુદ્ધ વિરુદ્ધ ચેતવણી આપી હતી અને દુશ્મનાવટને સમાપ્ત કરવા માટે 21 દિવસના યુદ્ધવિરામ કરાર પર વાટાઘાટો કરવામાં આવી છે.

દરમિયાન રોકેટ અને મિસાઈલ હુમલામાં બુધવારે લેબનોનમાં વધુ 72 લોકો માર્યા ગયા હતા અને 233 અન્ય ઘાયલ થયા હતા. લેબનીઝ આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે હિઝબોલ્લાહ સામે દેશમાં તેના હવાઈ હુમલામાં વધારો કર્યો હતો. ઇઝરાયલી સૈનિકોને સંબોધતા આર્મી ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ કહ્યું, તમે ઉપરથી જેટનો અવાજ સાંભળી શકો છો, અમે આખો દિવસ હુમલો કરી રહ્યા છીએ. આ તમારા પ્રવેશ માટે જમીન તૈયાર કરવા અને હિઝબુલ્લાને નબળી પાડવા માટે છે.

ઇમેન્યુઅલ મેક્રોને સંઘર્ષને સમાપ્ત કરવા પર ભાર મૂક્યો આ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું લેબનોનમાં કોઈ યુદ્ધ થઈ શકે નહીં. તેથી જ અમે ઈઝરાયેલને લેબનોન પર હુમલામાં વધારો રોકવા અને હિઝબુલ્લાહ પર મિસાઈલ છોડવા માટે વિનંતી કરીએ છીએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું આ નિવેદન મધ્ય પૂર્વના સંઘર્ષને સમાપ્ત કરવા માટે 21 દિવસના અસ્થાયી યુદ્ધવિરામ પ્રસ્તાવ પર બિડેન સાથે વાતચીત પછી તરત જ આવ્યું છે.

લેબનોનમાં લાખો નાગરિકો અસરગ્રસ્ત
ઇઝરાયેલે સોમવારે હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાની ઝુંબેશ શરૂ કરી ત્યારથી લેબનોનમાં 600 થી વધુ લોકોના મોત થયા છે. યુએનના આંકડા અનુસાર આ દરમિયાન લેબનોનમાં લગભગ 90 હજાર લોકો વિસ્થાપિત થયા છે, જે 110,000 લોકો ઉપરાંત છે જેઓ તણાવ વધતા પહેલા તેમના ઘર છોડીને ભાગી ગયા હતા.

તાત્કાલિક લેબનોન છોડવા ભારતીયોને સૂચના
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ અંગે, બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી છે અને બેરુતમાં ભારતીય દૂતાવાસે X પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે, આ ક્ષેત્રમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તરત જ દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી લેબનોનનો પ્રવાસ ન કરવો.

Most Popular

To Top