લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકરની કાર સામે ખાલિસ્તાન સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું ત્યારબાદ તેમની સુરક્ષા પર સવાલો ઉભા થવા લાગ્યા. આ અંગે યુકેના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વિદેશ મંત્રી એસ જયશંકરની યુકે મુલાકાત દરમિયાન ચેથમ હાઉસની બહાર બનેલી ઘટનાની અમે સખત નિંદા કરીએ છીએ. યુકે શાંતિપૂર્ણ વિરોધના અધિકારને સમર્થન આપે છે પરંતુ જાહેર કાર્યક્રમોનમાં ડરાવવા, ધમકાવવા અથવા વિક્ષેપિત કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
લંડનમાં ખાલિસ્તાન તરફી નારા લગાવી રહેલા વિરોધીઓના નાના જૂથમાંથી એક વ્યક્તિએ સુરક્ષા ઘેરો તોડી નાખ્યો અને વિદેશ મંત્રી એસ જયશંકરની કારને રોકવાનો પ્રયાસ કર્યો જ્યારે તેઓ થિંક ટેન્ક ચેથમ હાઉસના મુખ્યાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા. ભારતે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં ભૂલની ઘટનાની નિંદા કરી અને બ્રિટિશ સરકારને તેની રાજદ્વારી જવાબદારીઓનું પાલન કરવા હાકલ કરી હતી.
સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ – યુકે
યુકેના વિદેશ કાર્યાલયે કહ્યું કે મેટ્રોપોલિટન પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે ઝડપથી કાર્યવાહી કરી અને અમે અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર અમારા તમામ રાજદ્વારી મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ઇનસાઇટ યુકેએ આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યા અને કહ્યું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ડો. એસ. જયશંકર યુકેની મુલાકાતે છે અને યુકેના વિદેશ પ્રધાન ડેવિડ લેમી સાથે સફળ મુલાકાત કરી હતી જ્યાં તેઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે વિદેશ મંત્રીની બ્રિટન મુલાકાત દરમિયાન થયેલી સુરક્ષા ખામીના ફૂટેજ જોયા છે. અમે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ. અમને અપેક્ષા છે કે આવા કિસ્સાઓમાં યજમાન સરકાર તેની રાજદ્વારી જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરશે.
