ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટીમ પસંદગી માટેની બેઠક મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના મુખ્યાલયમાં યોજાઈ હતી. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિના સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદમાં અજિત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 18 સભ્યોની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ઇંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ સારો નથી
ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે અત્યાર સુધીમાં (1932-2022) ઇંગ્લેન્ડ સામે તેમના ઘરે 67 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ભારતે ફક્ત 9 ટેસ્ટ જીતી છે, જ્યારે તેને 36 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 મેચ ડ્રો પણ થઈ હતી.
ઈંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે એમએસ ધોની (2011-2014)નો રેકોર્ડ સૌથી ખરાબ હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચમાંથી ફક્ત એક જ જીત મેળવી હતી, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રો થઈ હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનું શિડ્યુલ
- 1લી ટેસ્ટ: 20-24 જૂન, 2025 – હેડિંગ્લી, લીડ્સ
- 2જી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 – એજબેસ્ટન, બર્મિંગહામ
- 3જી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 – લોર્ડ્સ, લંડન
- 4થી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 – ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
- 5મી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 – ધ ઓવલ, લંડન