Comments

ભારતીય મનોવિજ્ઞાન વ્યક્તિને ટોળું બનતાં રોકે છે

ભગવાન શંકરની અર્ધનારીશ્વર પ્રતિમાથી પ્રેરિત થઈને સ્વિટઝરલેન્ડના મનોવિજ્ઞાની કાર્લ જુંગે ૧૯૩૬માં માનવ સ્વભાવમાં રહેલ પરસ્પર વિરોધાભાસી વર્તનની સમજ આપી. ક્લેક્ટિવ કોન્સ્ડસનેસ અને ક્લેકટીવ અન-કોન્સ્ટસનેસ (સમૂહગત જાગૃતિ અને અ-જાગ્રત) ખાસિયતોની વ્યાખ્યા આપતા હયુંગ નોંધે છે કે, જૂથ તરીકે અને વ્યક્તિ તરીકે માણસનું વર્તન વિરોધાભાસી રહે છે. ૧૯૦૯માં સ્વિત્ઝરલેન્ડના પ્રોટેસ્ટંટ પરિવારમાં જન્મેલ કાર્લ હયુંગે ૧૯૩૮માં લંડન યુનિવર્સિટીમાં મનોચિકિત્સા અંગે પોતાનું સંશોધન રજૂ કરતાં જણાવ્યું કે, વ્યક્તિના ઉછેર દરમિયાન મળતી લાગણી, અનુભવ, વિચાર અને તાર્કિક અનુમાનથી માણસનું વ્યક્તિત્વ ઘડાય છે, જેને અંતર્મુખી અને બહિર્મુખી (ઇન્ટ્રોવર્ટ- એક્સસ્ટ્રોવર્ટ) પર્સનાલિટી તરીકે જાણી શકાય છે.

સિલેક્ટીવ બિહેવિયરની ચર્ચા કરતા હયંગ નોંધે છે કે, બાળક જેમ-જેમ પોતાની ઓળખ પામતું જાય છે તેમ-તેમ તે પોતાના વ્યક્તિત્વનો સ્વીકાર કરતું જાય છે અને અહીંથી વ્યક્તિ-કેન્દ્રીયતા એટલે કે અહમ વિસ્તરે છે. સૃષ્ટિ ઉપરનાં બીજાં પશુ-પ્રાણી કરતાં માનવમસ્તિષ્ક વધુ જટિલ સંયોજનો નિભાવી શકે છે. ઇતિહાસકાર યુવલ હરારી નોંધે છે કે મનુષ્ય અને વાનરના DNAમાં ૯૮% સામ્ય હોવા છતાં માત્ર ૫૦ ચિંપાન્ઝીને ભેગા કરવાનું શક્ય નથી, પણ એટલી જ સંખ્યામાં માણસો નિયમિત રીતે એકત્ર થાય છે. શિક્ષણ, ઉદ્યોગ, પરિવહન, સારવાર પ્રકારે સુવિધાઓ સામાજિક અનુકૂલન તરીકે વિસ્તારે છે. સાથોસાથ માણસ પરસ્પર વિરોધી વર્તન સફળતાથી અજમાઈશ કરી અનુકૂળ પરિણામો વિકસાવી શકે છે.

મનોવિજ્ઞાનીઓ વ્યક્તિના વર્તનને ત્રણ ભાગમાં વહેંચે છે, જે (૧) વ્યક્તિત્વ સ્વીકારવાનું વર્તન (૨)સમૂહગત સ્વીકારવાનું વર્તન (૩) અજાગ્રત વર્તન. જુંગ જણાવે છે કે માણસમાં રહેલા આ ત્રણ સ્વભાવમાં સમતુલન જળવાતું નથી ત્યારે વ્યક્તિગત રીતે નિર્બળ માણસ ટોળામાં હિંસક બની જાય છે. મોબ તેનાં લક્ષણોથી ઓળખાય છે. ટોળામાં રહેલ માણસ માને છે કે, અહીં તેને કોઈ ઓળખનાર નથી. ટોળું કાયદાની ચુંગાલમાં સરળતાથી ફસાતું નથી. આથી જૂથ વ્યક્તિને નિયમોનું ઉલ્લંઘન કરવા બળ આપે છે. સમૂહગત જોશ વ્યક્તિમાં ઊર્જા ઉમેરે છે. આથી સામાજિક મૂલ્યોના દબાણથી છટકી માણસ વિરોધી વર્તન હાંસલ કરવા પ્રેરિત રહે છે. સિગ્મન ફ્રોઈડના મતે, “ટોળું એક સંમોહિત (હિપ્નોટાઇઝ) સ્થિતિમાં રહે છે. આથી ટોળામાં રહેલ વ્યક્તિ પોતાને હંમેશા યોગ્ય જ માને છે.”

જન્મજાત ભય, ભૂખ અને મૈથુનનું વલણ ધરાવતો માણસ સ્વાદેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય સાથે હકારાત્મક રહે છે, પરંતુ ભયની વ્યથા તેનામાં તિરસ્કારની ભાવના વિકસાવતી રહે છે. ભયની સ્થિતિમાં માનવ મસ્તિષ્કનાં ન્યુરોન્સ,બાળવયના ઉછેરની સ્મૃતિને આધારે ચિત્ર ખડું કરે છે. ત્યારે મસ્તિષ્ક સાવચેતીના ભાગરૂપે એડ્રિનલ ગ્રંથિને સતેજ કરી આર્સનિક સ્રાવને લોહીમાં ધકેલે છે. પરિણામે થોડી જ ક્ષણોમાં હ્રદય લોહીનું પંપિંગ વધારે છે. ફેફસાં શ્વાસ-ઉચ્છશ્વાસમાં ઝડપ લાવી લોહીમાં ઑક્સિજન વધારે છે.

મનોવિજ્ઞાન જણાવે છે કે, શારીરિક બદલાવથી માણસ કાં તો સંઘર્ષ (ફાઇટ) કરવા માટે અથવા તો ભાગી જવા (ફલાઇટ) માટે વધારાની ઊર્જા મેળવી શકે છે, પરંતુ સમૂહમાં વ્યક્તિ જાતને સુરક્ષિત મહેસુસ કરે છે. આથી આક્રમક વલણ અપનાવી લે છે. એટલું જ નહીં પણ સારાનરસાનો વિવેક હોવા છતાં ટોળાં સાથે જોડાઈ રહે છે. મહાભારતનો ખલનાયક દુર્યોધન પોતાની મનોવેદના જણાવે છે તેમ અધર્મ જાણું છું પણ છોડી શકતો નથી. અહીં ટોળું- જૂથની મનોસ્થિતિ સ્પષ્ટ થાય છે.

“પશ્ચિમનાં મનોવિજ્ઞાનીઓએ જૈવિકશાસ્ત્રના આધારે માનવ-વર્તનની અભિવ્યક્તિ હૂબહૂ દર્શાવી છે, પરંતુ તેથી અનેક ગણી ઊંચાઇથી ભારતીય માનો દર્શને માનવશરીર, બુદ્ધિ, મન, અહંકાર અને ચિત્તના સંકલનની સ્થિતિ ૮૦૦૦ વર્ષ પહેલાં ઉપનિષદની ઋચાઓમાં દર્શાવી છે. ‘વિષ્ણુરપદે નિર્ભય’નું જ્ઞાન સૂત્ર જગદ્ગુરુ શંકરાચાર્યે મૂક્યું તો “ઈશ્વરના શરણમાં જીવ શાંતિભાવને મેળવે છે” તેવું મનોવલણ પૃથ્વી ઉપર પ્રથમ વખત આપી અહિંસાનો વિચાર જૈન ધર્મથી વિસ્તર્યો. વ્યક્તિને ટોળાની મનોવૃત્તિથી દૂર રાખનાર ભારતીય દર્શને માન્યું છે કે, “સર્વ મંગલ માંગલ્યે સર્વે કલ્યાણ કારણું. પ્રધાનં સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ્”. પુરાણકાળના ઋષિમુનિઓની પ્રાર્થના રહી છે કે “કર્મ આધિન કદાપિ માનવશરીરને ત્રાસ મળે તો પણ હે જીવ, દુ:ખ આપનાર ઉપર પણ કરુણા વરસો”. સમતાભાવ અને સુખભાવમાં નિર્દોષ ગોચરી કરનાર રાગ-દ્વેષથી પરે ત્યાગી રહે છે.

આ ભારતીય મનોવિજ્ઞાનની વિચારધારા વ્યક્તિને ટોળું બનતાં સતત રોકી રહી છે. વ્યક્તિ ટોળાનો હિસ્સો બને. પોતામાં છૂપાયેલ ભય અને તિરસ્કારને સામુહિક રીતે વ્યક્ત કરે છે, ત્યારે વિશ્વયુદ્ધો સર્જાય છે. અણુ-શસ્ત્રો અને ૨૧મી સદીમાં જીન્સનાં રંગસૂત્રો બદલી ઈન્જીનિયરો બાયોલોજિકલ વેપનથી માનવજાતને કોરોના જેવી સ્થિતિમાં મૂકી રહ્યા છે. ઈતિહાસ નોંધે છે કે, મધ્ય એશિયા, યુરોપ અને અમેરિકાની ધાર્મિક અ-સહિષ્ણુતામાંથી પૃથ્વી ઉપર ૧૫૦૦૦થી વધુ યુદ્ધો (ક્રુઝેડ) થયાં છે. પરંતુ એક મનોવિજ્ઞાની તરીકે ભગવાન કૃષ્ણે યુદ્ધના મેદાનની વચ્ચો-વચ અર્જુનને ભય અને તિરસ્કારની ટોળાવૃત્તિથી બહાર લાવી દૈવી સંપત્તિ (૧૬.૧)નાં ૨૬ લક્ષણો દર્શાવી કહ્યું “અભયં સત્ત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિત:” એટલું જ નહીં પણ નિર્ભય રહી સ્વની ફરજ માટે પ્રેરિત કરે છે.’’

અધ્યાત્મને મનોદર્શન તરીકે વ્યક્ત કરનાર યોગાચાર્ય પતંજલિ કે, માનવકર્મને યોગના કૌશલ તરીકે મૂકનાર ભગવાન કૃષ્ણે માનવવર્તનને સમજવા શરીરનાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય સ્વરૂપની સૂક્ષ્મ વિભાવના કરી દીર્ઘકાલીન સંદર્ભથી માનવમનને ઓળખી બતાવ્યું છે અને સ્વસ્થ સમાજ- પ્રાકૃતિક સમાજની વૈજ્ઞાનિક સમજ આપી છે. પશ્ચિમનું મનોવિજ્ઞાન માનવવર્તન સુધી મર્યાદિત રહ્યું છે, પણ ભારતીય દર્શનશાસ્ત્ર માણસમાં બારીકાઈથી પ્રવેશી મનની પરત દર પરત ખોલી કલ્યાણમય જીવનની પ્રાર્થના કરે છે. ચૈતન્ય (મેટર અને એન્ટી મેટર)નો સ્વીકાર કરે છે. પૃથ્વી ઉપરનું પર્યાવરણ પ્રદૂષિત હવાથી ભયજનક સ્થિતિમાં પ્રવેશ્યું છે અને પૈસાની હોડ માનવમૂલ્યોની નાવને જર્જરિત કરી રહી છે ત્યારે સમાજને જૂથની માનસિકતામાંથી સ્થિરતાનો રાહ ભારતીય દર્શનમાંથી મળે છે જે જગતના વિવિધ ધર્મ-સંપ્રદાયોએ અપનાવવા રહ્યા.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top