શુક્રવાર-શનિવાર રાત્રે ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. પાકિસ્તાને ભારતમાં 26 સ્થળોએ હુમલો કર્યો, ત્યારબાદ ભારતે અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. બંને દેશોમાં મિસાઇલ હુમલા અને વિસ્ફોટોની ઘટનાઓ બની ત્યારે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ જોરદાર મુકાબલો કર્યો.
બંને દેશો યુદ્ધની અણી પર ઉભા છે અને તેમની સેનાઓ એકત્ર થઈ ગઈ છે. શુક્રવારે સાંજે પાકિસ્તાને ભારતમાં 26 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આના જવાબમાં ભારતે પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવ્યા છે.
દરમિયાન પાકિસ્તાન સેનાએ દાવો કર્યો હતો કે ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતા. ત્રણ એરબેઝ પર વિસ્ફોટ થયા હતા અને આ પછી પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. તેવી જ રીતે પાકિસ્તાન દ્વારા ભારત પર ફતહ-1 મિસાઇલ છોડવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાનો ભારતે જવાબ આપ્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનના ઘણા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.
શનિવારે સવારે ભારતે રાજધાની ઇસ્લામાબાદ નજીક સ્થિત કુલ ચાર એરબેઝ પર મિસાઇલો છોડી અને વિનાશ મચાવ્યો છે.
આ અગાઉ મોડી રાત્રે ટેલિવિઝન પર પ્રસારિત થયેલા નિવેદનમાં પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું: ભારતે તેના વિમાનનો ઉપયોગ કરીને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો ચલાવી.
શનિવારે વહેલી સવારે શું થયું?
જમ્મુ અને કાશ્મીરમાં વાયુસેના સ્ટેશનને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા. પાકિસ્તાન દ્વારા રાત્રે કરાયેલા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાંથી સવારની તાજી તસવીરો સામે આવી છે.
સવારે ૫.૨૦ વાગ્યે શ્રીનગર એરપોર્ટ નજીક અને સવારે ૪.૫૦ વાગ્યે બારામુલ્લા અને ઉધમપુરમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા.
પઠાણકોટમાં પણ વહેલી સવારે ઘણા વિસ્ફોટ થયા. ઓછામાં ઓછા અડધા કલાક સુધી તૂટક તૂટક વિસ્ફોટો ચાલુ રહ્યા; જવાબમાં વિમાન વિરોધી બંદૂકો પણ ચલાવવામાં આવી.