Charchapatra

ભારત અને બાંગ્લા દેશ વચ્ચે નદીઓનાં પાણીની વહેંચણી બાબતમાં ઝઘડો ચાલે છે

ભારતના ભાગલા થયા ત્યારથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લા દેશ વચ્ચે નદીઓનાં પાણીની વહેંચણી બાબતમાં વિવાદો ચાલી રહ્યા છે, જેનો હજુ સુધી અંત આવ્યો નથી.  તાજેતરમાં બાંગ્લા દેશનાં વડાં પ્રધાન શેખ હસીનાની દિલ્હીની મુલાકાત દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા જળ વહેંચણી કરારના નવીનીકરણ પર વાતચીત થઈ હતી, પરંતુ જ્યારથી આ માહિતી મળી છે ત્યારથી તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અવગણના કરીને આ પગલું ભરી રહી છે.પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે બાંગ્લાદેશ સાથે પાણીની વહેંચણીના મુદ્દે બંગાળ સરકારને ચર્ચામાંથી બાકાત રાખવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. મમતાએ ત્રણ પાનાંના પત્રમાં કહ્યું હતું કે અમે રાજ્ય સરકારની સલાહ લીધા વિના આવી એકપક્ષીય વાતચીતને સ્વીકારતા નથી.

હકીકતમાં, ભારતે ૧૯૭૫માં ગંગા નદી પર ફરક્કા બેરેજનું નિર્માણ કર્યું હતું, જેના પર બાંગ્લા દેશે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી છેક ૧૯૯૬માં બંને દેશો વચ્ચે ગંગા જળ વહેંચણી સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ માત્ર ૩૦ વર્ષ માટે હતી, જે આવતા વર્ષે સમાપ્ત થઈ રહી છે. આ સિવાય બાંગ્લા દેશ સાથે તિસ્તા માસ્ટર પ્લાન અંગે પણ ભારતનો મતભેદ ચાલી રહ્યો છે. તિસ્તા માસ્ટર પ્લાન દ્વારા બાંગ્લા દેશ પૂર અને જમીનના ધોવાણને રોકવા સાથે ઉનાળામાં જળસંકટની સમસ્યાનો સામનો કરવા માંગે છે.

આ સાથે બાંગ્લા દેશ તિસ્તા નદી પર વિશાળ બેરેજ બનાવીને તેનાં પાણીને મર્યાદિત વિસ્તારમાં સીમિત કરવા માંગે છે. જો આ પ્લાન અમલમાં આવશે તો પશ્ચિમ બંગાળમાં પાણીની તંગી પેદા થઈ શકે તેમ છે. આ પ્રોજેક્ટ માટે ચીને બાંગ્લા દેશને ૧ અબજ ડૉલરની રકમ હળવી લોનના સ્વરૂપમાં આપવા સંમતિ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીન લાંબા સમયથી તિસ્તા માસ્ટર પ્લાન માટે બાંગ્લા દેશને લોન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતની નારાજગીને કારણે આ કરાર થઈ શક્યો નથી. ૨૦૧૧ માં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભારત તિસ્તા નદી જળ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર હતું, પરંતુ મમતા બેનરજીની નારાજગીને કારણે મનમોહન સિંહની સરકારે પીછેહઠ કરવી પડી હતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યાના એક વર્ષ પછી તેઓ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી સાથે બાંગ્લા દેશ ગયા હતા. આ દરમિયાન બંને નેતાઓએ બાંગ્લા દેશને તિસ્તાનાં પાણીની વહેંચણી પર સર્વસંમતિનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ૯ વર્ષ પછી પણ તિસ્તા નદી જળ કરારનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી. ૪૧૪ કિલોમીટર લાંબી તિસ્તા નદી ચીનમાંથી નીકળે છે અને સિક્કિમ થઈને ભારતમાં પ્રવેશે છે. આ પછી તે પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે અને બાંગ્લા દેશ પહોંચે છે, જ્યાં તે આસામથી આવતી બ્રહ્મપુત્રા નદીમાં જોડાય છે.

બ્રહ્મપુત્રા નદીને બાંગ્લા દેશમાં જમુના કહેવામાં આવે છે. તિસ્તા નદીની ૮૩% યાત્રા ભારતમાં થાય છે અને તેની ૧૭% યાત્રા બાંગ્લા દેશમાં થાય છે. આ સમયગાળા દરમિયાન, આ નદી સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લા દેશના ત્રણ પ્રદેશોમાં રહેતા લગભગ એક કરોડ લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. બાંગ્લા દેશ તિસ્તા નદીનાં ૫૦ ટકા પાણી પર અધિકાર માંગે છે. જ્યારે ભારત પોતે નદીના ૫૫ ટકા પાણીનો ઉપયોગ કરવા માંગે છે. નિષ્ણાતોના મતે જો તિસ્તા નદીના જળકરાર પર હસ્તાક્ષર થશે તો પશ્ચિમ બંગાળ તેની ઈચ્છા મુજબ તિસ્તા નદીના પાણીનો ઉપયોગ કરી શકશે નહીં. આ જ કારણે મમતા બેનરજી તેનો વિરોધ કરી રહ્યાં છે.

બાંગ્લા દેશ ભારત ઉપર દબાણ લાવવા માટે તિસ્તા માસ્ટર પ્લાનનો ઉપયોગ કરી રહ્યું છે. તિસ્તા માસ્ટર પ્લાન પ્રોજેક્ટ ચીનને મળવાથી ભારતને નુકસાન થશે. તેનું કારણ વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધિત કારણો છે. વાસ્તવમાં ચીનને આપવામાં આવેલા મોટા ભાગના પ્રોજેક્ટ ત્યાંની સરકારી કંપનીઓને આપવામાં આવે છે. ભારતને આશંકા છે કે બાંગ્લા દેશ પાણીના પ્રવાહ સાથે સંબંધિત ડેટા અને નદી સાથે સંબંધિત અન્ય ઘણી માહિતી ચીન સરકારને આપી શકે છે. આ સાથે જો ચીનને તિસ્તા પ્રોજેક્ટ મળશે તો તેનાં લોકોની હાજરી ભારતના સિલીગુડી કોરિડોરની નજીક હશે, જેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. આ સ્થાન ભારતને બાકીના ઉત્તર-પૂર્વ ભારત સાથે જોડે છે. સંરક્ષણની દૃષ્ટિએ ભારત માટે ચિકન નેક બહુ મહત્ત્વનું સ્થાન છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૧૯૯૬માં ગંગાજળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે સમયે ભારતના તત્કાલીન વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા અને શેખ હસીનાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વર્ષ ૨૦૧૭માં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પણ ફરક્કા ડેમનો વિરોધ કર્યો હતો. તેમણે પૂરને રોકવા માટે ફરક્કા ડેમને તોડી પાડવાની દરખાસ્ત કરી હતી. ફરક્કા બેરેજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં છે.

આ ડેમમાં જાન્યુઆરીથી મે સુધી પાણીનો પ્રવાહ ઓછો રહે છે. આ કરાર હેઠળ આ ડેમમાં પાણીનો પ્રવાહ સુનિશ્ચિત કરવાનો હતો. બંને દેશો વચ્ચે થયેલી સંધિ હેઠળ જો પાણીની ઉપલબ્ધતા ૭૫,૦૦૦ ક્યુસેક જેટલી થાય તો ભારતને ૪૦,૦૦૦ ક્યુસેક પાણી લેવાનો અધિકાર છે. જો ફરક્કા ડેમમાં ૭૦,૦૦૦ ક્યુસેકથી ઓછું પાણી આવે તો પાણીનો જથ્થો બંને દેશો વચ્ચે સરખા ભાગે વહેંચાઈ જાય છે. જ્યારે પ્રવાહ ૭૦,૦૦૦ થી ૭૫,૦૦૦ ક્યુસેક વચ્ચે રહે તો બાંગ્લાદેશને ૩૫,૦૦૦ ક્યુસેક પાણી આપવામાં આવે છે.

ભારતીય બંધારણની કલમ ૨૫૩ જણાવે છે કે સંસદ અન્ય દેશ સાથે કોઈ પણ કરાર કરવા અથવા અમલ કરવા માટે કાયદો પસાર કરી શકે છે. આ બાબતે રાજ્યનો સહકાર ઇચ્છનીય છે. મમતા બેનરજીએ અગાઉ શેખ હસીના સમક્ષ તિસ્તાનાં પાણીની વહેંચણી સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પશ્ચિમ બંગાળના હિતોને ધ્યાનમાં રાખીને તેઓ તિસ્તાના પાણીની વહેંચણીના પ્રશ્ન પર કોઈ ઉતાવળિયા નિર્ણય માટે તૈયાર નથી. મમતા બેનરજીએ ગંગા જળની વહેંચણી અંગેના કરારના નવીનીકરણના મામલે પણ પોતાનો વિરોધ સ્પષ્ટ કર્યો છે.

બાંગ્લા દેશમાં આ કરારનો હંમેશા વિરોધ થતો રહ્યો છે. ઘણાં લોકો માને છે કે કરાર ભારતની તરફેણમાં છે. ૨૦૧૭માં જ્યારે શેખ હસીના ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત સાથે જે પણ સમજૂતી કરવામાં આવી છે તે બાંગ્લા દેશના હિતમાં છે. બાંગ્લા દેશમાં લગભગ ૪૦૦ નદીઓ છે અને અહીંના નિષ્ણાતોના મતે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા નદીઓ પર નિર્ભર છે.

ભારતની જેમ બાંગ્લા દેશ પણ મોટા ભાગે કૃષિ ઉત્પાદન પર નિર્ભર છે. બાંગ્લા દેશની ૫૪ નદીઓ છે, જે પાડોશી દેશ ભારત સાથે વહેંચાયેલી છે. આમાંથી માત્ર એક જ નદી છે જેનો પ્રવાહ ઉપર તરફ વહે છે જ્યારે ૫૩ નદીઓ ભારતમાંથી દક્ષિણ દિશામાં વહે છે. આવી સ્થિતિમાં ભારત પાસે પાણીના પ્રવાહને રોકવા માટેનાં તમામ સાધનો છે. ગંગાને બાંગ્લા દેશ માટે પાણીનો મહત્ત્વનો સ્રોત માનવામાં આવે છે.

ગંગાનું પાણી બાંગ્લા દેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં વહેતી નદીઓનાં પાણીના પ્રવાહને જાળવી રાખવામાં મદદરૂપ છે. બાંગ્લા દેશ દ્વારા ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો છે કે પાડોશી દેશ ભારત સંધિની શરતોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત, જે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તેનો દક્ષિણ એશિયામાં પણ મોટો પ્રભાવ છે. બાંગ્લા દેશના નિષ્ણાતો વારંવાર ભારત પર તેમના દેશની ચિંતાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવે છે. આ સંધિને કેવી રીતે રિન્યુ કરવામાં આવશે તેની ચર્ચા ભારતમાં અને બાંગ્લા દેશમાં ચાલી રહી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top