National

તિરૂપતિમાં માત્ર 320 રૂપિયામાં ખરીદવામાં આવતું હતું ગાયનું શુદ્ધ ઘી, વિવાદ બાદ આ કિંમત પર થઈ નવી ડીલ

તિરુપતિઃ આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં ઘીની ભેળસેળનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે એઆર ડેરીને માત્ર રૂ. 320 પ્રતિ કિલોના ભાવે ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને નંદિની ઘીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ચંદ્રાબાબુ સરકારે ઘીમાં ભેળસેળનો ખુલાસો કર્યા બાદ વિવાદ થતા તિરુપતિ બોર્ડ દ્વારા એઆર ડેરીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે અને હવે નંદિની ઘીને ટેન્ડર સોંપાયું છે. જોકે, આ વખતે નંદિની ઘી કંપનીને પ્રતિ કિલો ઘી માટે 470 રૂપિયાની કિંમત ચૂકવવામાં આવશે. જે પહેલાં 150 રૂપિયા વધુ છે.

એક અહેવાલને ટાંકીને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે અગાઉની જગનમોહન રેડ્ડી સરકારમાં બાલાજી મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ અને પ્રાણીની ચરબી ભેળવવામાં આવતી હતી. જગન મોહને કહ્યું કે દાવા ખોટા છે અને નાયડુ ભગવાનના નામે રાજનીતિ કરી રહ્યા છે.

ટેન્ડરમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્ડરની શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો અને ઘી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું ન હતું. ટેન્ડરની કલમ 80 મુજબ સપ્લાય કરવામાં આવેલ ઘીના દરેક કન્સાઈનમેન્ટ માટે NABL પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.

આ ઉપરાંત ટેન્ડર કલમ ​​81 મુજબ, લેબ પરીક્ષણ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ને ઘીના નમૂના મોકલવા ફરજિયાત છે. સવાલો ઉભા થઈ રહ્યા છે કે ઓગસ્ટ 2023 અને જુલાઈ 2024 વચ્ચે બ્લેકલિસ્ટેડ કંપનીના અગાઉના સેમ્પલમાં આ ભેળસેળ કેવી રીતે મળી ન હતી? શું TTD એ NABL/લેબ પરીક્ષણ માટે નમૂનાઓ મોકલ્યા નથી? બ્લેકલિસ્ટેડ કંપનીએ જે બેચમાં ભેળસેળ મળી હતી તેનું NABL પ્રમાણપત્ર રજૂ કર્યું ન હતું?

TTD EOએ કહ્યું – રૂ. 320/કિલોનો દર વાજબી નથી
TTD EO રાવે જણાવ્યું હતું કે, ચારેય સેમ્પલના રિપોર્ટમાં સમાન પરિણામો જોવા મળ્યા છે. તેથી અમે તાત્કાલિક પુરવઠો બંધ કરી દીધો છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સપ્લાયર્સે આ ખામીઓનો ફાયદો ઉઠાવ્યો અને રૂ. 320 થી રૂ. 411 વચ્ચે ઘી સપ્લાય કર્યું. તેમણે કહ્યું કે શુદ્ધ ગાયના ઘીના સપ્લાય માટે આ પ્રાઇસ બેન્ડ યોગ્ય નથી.

કેન્દ્ર સરકાર તપાસ કરાવશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથે આ મામલે વાત કરી છે અને તિરુપતિ લાડુ મુદ્દે રિપોર્ટ માંગ્યો છે. નડ્ડાએ કહ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે.

શું છે મામલો?
તેલુગુ દેશમ પાર્ટીના પ્રવક્તા અનમ વેંકટા રમન રેડ્ડીએ મીડિયા સાથે વાત કરતા કથિત લેબોરેટરી રિપોર્ટ બતાવ્યો હતો, જેમાં આપેલ ઘીના સેમ્પલમાં “બીફ ફેટ”ની હાજરીની પુષ્ટિ કરી હતી. લાર્ડ (ડુક્કરની ચરબી સંબંધિત) અને માછલીના તેલનો પણ દાવો કરવામાં આવ્યો છે. સેમ્પલ એકત્ર કરવાની તારીખ 9 જુલાઈ, 2024 હતી અને લેબોરેટરી રિપોર્ટની તારીખ 16 જુલાઈ હતી. જો કે, પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતી આંધ્ર પ્રદેશ સરકાર અથવા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) તરફથી પ્રયોગશાળાના અહેવાલ પર કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી

Most Popular

To Top