Vadodara

નેતાઓના સાંઠગાઠથી ગેરકાયદે ચાલતુ રેતી ખનન

વડોદરા: વડોદરા નજીકથી વહી રહેલ મહીસાગર અને નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. નિયમ કરતા વધુ રેતીનું ખનન કરીને નદીમાં જ્યાં ને ત્યાં ખોદી નાખતા અનેકવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને માસુમ લોકો તેનો ભોગ બની રહ્યા છે. કેટલાક રાજકારણીઓની રહેમ નજર હેઠળ અથવા તો તેઓની સાંઠગાંઠના કારણે આ રેતી માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી. મહીસાગર નદીમાં કેટલાય વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને રાજકારણીઓ તેમજ સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ બેફામ રીતે રેતી વેક્યૂમની મદદથી રેતી ઉલેચવામાં આવી રહી છે.

તાજેતરમાં જ રેતી માફિયાઓના કારણે એક માસૂમનું મોત નીપજ્યું છે. અને તેમાં સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યા છે. રેતી માફિયાઓ દ્વારા નદીની વચ્ચોવચ નાવડીની મદદથી રેતી ખનન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે સરકારે જે નીતિ નિયમો સાથે લીઝ આપી હોય છે તેનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લાની અનેક લીઝ ઉપર માત્ર નામનું જ મોનીટરીંગ કરવામાં આવતું હોવાની પણ બૂમો ઉઠવા પામી છે. સરકારી અધિકારીઓ માત્ર ફરિયાદ મળે ત્યારે નામની ચકાસણી કરી સબ સલામત છે તેમ જણાવી પરત જતા રહે છે. એક પણ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે.

ભૂતકાળમાં ધારાસભ્યો અને અનેક આગેવાનો સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે લીઝમાં તેઓની અથવા તો તેઓના પરિવારજનોની સંડોવણી છે. પરંતુ તેમાં કઈ પણ તપાસ ખુલી નથી. આવા તત્વો સામે લગામ કસવામાં આવે અને ખાણ – ખનીજ વિભાગ નિયમોનું ચુસ્ત પાલન કરાવે તે ઇચ્છનીય છે. ખનન માફીયાઓના તાર ગાંધીનગર સુધી જોડાયેલા છે. જે નેતાઓને પશુપાલકોના વ્હારે આવે છે તેમના મત વિસ્તારમાં દિવસ રાત ચાલતા ગેરકાયદે ખનન માફીયા વિરૂધ્ધ અભિયાન ચલાવાશે?

  • ભરૂચના સાંસદે વડાપ્રધાનને પત્ર લખી હસ્તક્ષેપ કરવાની કરી છે માંગ કરી
  • તમામ મંત્રાલયોને પત્ર લખી રજુઆત પણ રેટ માફિયાઓને ઉચ્ચ રાજકીય અને વહીવટી રક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ગેરકાયદે ધંધો સતત ચાલુ
  • ભરૂચ BJP ના આદિવાસી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતની નર્મદા, તાપી, મહીસાગર, ઓરસંગ સહિતની નદીઓને ઉચ્ચ રાજકીય વગ અને વહીવટી પીઠબળ ધરાવતા રેત માફિયાઓના હાથમાંથી બચાવી લેવા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા પત્ર લખી વિનંતી કરી છે.
  • ભરૂચના MP મનસુખ વસાવાએ 10 દિવસ પેહલા જ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના સંબંધિત મંત્રાલયને ગુજરાતની નર્મદા નદીનો રેત માફિયાઓ દ્વારા થઈ રહેલા વિનાશને અટકાવવા પત્ર લખ્યો હતો. જે બાદ સાંસદે લોકસભામાં તેમજ સંબંધિત રાજ્ય તેમજ કેન્દ્રના અન્ય મંત્રાલયોમાં પણ પત્ર થકી રાજ્યની નદીઓને બચાવવા પત્રો પાઠવ્યા હતા.
  • PM ને પત્ર મારફતે ગુજરાતની નદીઓને બચાવી લેવા વિનવણી કરી છે.ગુજરાતની નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગમાં રેતી ખનન નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. નદીઓમાં 25 થી 30 ફૂટની ઉંડાઈ સુધી રેતી કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી રેતીને વહન કરવા માટે ભારે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. નદીઓમાં પુલ કે રસ્તાઓ બનાવીને આ ટ્રકોને ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવે છે.
  • સાંસદે વધુમાં PM ને લખ્યું છે કે, તેઓએ આ અંગે સંબંધિત મંત્રાલયને પત્રો પણ લખ્યા છે અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ સાથે અનેક પર્યાવરણવાદીઓ અને પરિક્રમાવાસીઓએ નર્મદા બચાવો અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારના તમામ લોકો સાંસદ સાથે છે. નર્મદા બચાવો અભિયાન શરૂ કરાયું છે પરંતુ રેતી માફિયાઓને ઉચ્ચ રાજકીય અને વહીવટી રક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ગેરકાયદે ધંધો સતત ચાલી રહ્યો છે. સાંસદે વડાપ્રધાનને વિનંતી કરી છે કે, ગંગા અને યમુનાની જેમ નર્મદા નદીને પણ બચાવવી જોઈએ.જેમાં PM નરેન્દ્ર મોદીના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર હોવાનું અંતમાં કહ્યું છે.

5 દિવસ પહેલા ગેરકાયદે રેતી ખનન કરતા યુવક ડુબ્યો હતો
સાવલી તાલુકાના પરથમપુરા ગામની મહિની નદી પાસે કરણસિંહ પ્રભાતસિંહ વાઘેલાની રેતીની લીઝ પર કનોડા પોઇચા ગામમાં રહેતો સંજયસિંહ નરવતસિંહ ચૌહાણ (ઉં.વ 35)ટ્રેક્ટરથી કામગીરી કરતો હતો. 14 ફેબ્રુઆરીએ સાંજ 6 વાગ્યાથી 15મીની વહેલી સવાર દરમિયાન તેમનું ડુબી જવાના કારણે મોત નિપજ્યું હતું. મહી નદીમાં મોટાપાયે વેક્યુમથી રાત્રીના સમયે રેતી ખનન કરાતું હોવાના કારણે મોટામોટા ખાડા પડી ગયા છે. ખાડા પડી જતા ડૂબવાના બનાવો પણ દિન પ્રતિ દિન વધતા જાય છે. છતાં ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામા પોઢ્યું હોય નિરસ જણાઇ રહ્યું છે.
મહીસાગર નદી સહિત અન્ય નદીઓમાં ખનીજ ચોરો મોટાભાગે વેક્યુમથી રેતી ખનન કરતા હોવાના કારણે નદીમાં 45-50 ફૂટ ઊંડા ખાડી પડી ગયા છે જેના કારણે ઘણા ડૂબી જતા મોતને ભેટે છે.સાથે વેક્યુમથી રેતી કાઢી લેવામાં આવતી હોવાથી ખેડૂતના નુક્સાન થતું હોવાથી ખેડૂતોને વેઠવાનો વારો છે. – મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ સરપંચ, ભાદરવા

રેતી ખનનમાં રાજકારણીઓના જ હાથ : સાંસદ ના આક્ષેપ
સાંસદે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવાયું હતું કે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં નર્મદાના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવાનું કામ જોરશોરથી ચાલે છે. નદીના પટમાંથી 5 મીટરની ઉંડાઈથી રેતી કાઢવાની મંજુરી સરકારમાંથી અપાય છે. રેત માફિયાઓ 25 થી 30 મીટરની ઉંડાઈથી રેતી કાઢે છે. રાતના ‍11 થી 12 વાગ્યા સુધી રેતીની ટ્રકો ચાલે છે. મોટાભાગની ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યું હતુકે મોટાભાગના આ રાજકીય મોટા માથાઓ આ પ્રકારનું ગેરકાનૂની કાર્ય કરે છે. ગેરકાયદેસર થતું રેતખનન અટકાવવા સાંસદે માંગ કરી હતી.

Most Popular

To Top