રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામના ડિમોલિશનની કામગીરી કર્યા બાદ નાનપુરા જમરૂખ ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વરાછામાં બુટલેગર દ્વારા ઉભા કરવામાં આવેલા ગેરકાયદે શેડનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
સુરતમાં આજે બુટલેગરો પર તવાઈ આવી હતી. વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવવામાં આવ્યાં હતાં. પાલિકા અને પોલીસના 100 જેટલા લોકો દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ ટીમોને સાથે રાખીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 9 ગુના તો મનજી ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 8 ગુના નોંધાયેલા છે. તેમના ઘર પાસે ઉભી કરાયેલી ગેરકાયદે મિલકત તોડી પડાઈ છે.
લસકાણાના કઠોદરામાં બે બુટલેગરના ગેરકાયદે મકાનોમાં શેડનું ડિમોલેશન કરાયું છે. બુટલેગર અતુલ દિલીપભાઈ પરમાર અને રાહુલ દિનેશ રાઠોડનું ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરાયું છે. અતુલ પરમાર પર પ્રોહિબિશનના 11 ગુના દાખલ છે, તો રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના 4 ગુના દાખલ છે.
