Gujarat

IIM અને મેલબોર્ન યુનિ.માંથી ડિગ્રી મેળવનાર યુવાનો સંયમના માર્ગે

અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દિક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં દિક્ષાર્થીઓમાં ભારતની ખ્યાતનામ IIM થી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો હતા. તે સિવાય ૪ અનુસ્નાતક, ૨૨ સ્નાતક, ૧૮ ઇજનેર, ૧ શિક્ષક, ૧ ફાર્માસિસ્ટ સહિત કુલ ૪૬ નવયુવાનોએ પાર્ષદી દિક્ષા લીધી હતી.

અત્યંત તેજસ્વી અને ઉચ્ચ શિક્ષિત આ યુવાનો પ્રભુનિષ્ઠા, આત્મકલ્યાણ સાથે સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થશે. પોતાની ઉચ્ચ કારકિર્દી અને વૈભવને ત્યજીને આ યુવાનો વૈરાગ્યના માર્ગે ચાલીને સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે પ્રયાણ કરશે. દિક્ષાર્થીઓમાં ૧૦ પરદેશના યુવાનો સાથે, મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના યુવાનો છે.

ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે – શાસ્ત્ર, મંદિર અને સંત. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. એમાંય, સુશિક્ષિત નવયુવાનોને વૈરાગની પ્રેરણા આપીને, તેમને ત્યાગાશ્રમના પથ પર પ્રયાણ કરાવીને સ્વામીએ 1000થી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ ધરી છે, તેને ભારતનો સમગ્ર ધાર્મિક સમાજ અહોભાવની નજરે નિહાળે છે. દિક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સૌ નવદિક્ષિતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી હતી.

દિક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતુ કે, “આજે યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે છે, તે ખૂબ જ આનંદની વાત છે અને આ માત્ર ને માત્ર યોગી બાપાના સંકલ્પ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી જ શક્ય બને છે. આવા ભણેલા ગણેલા યુવાનો દિક્ષા લે છે. તેથી સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ છે, અને અને તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો બધે જ પહોંચશે, અને હજારોને ધર્મના માર્ગે ચડાવશે. સારંગપુરમાં નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલિમ કેન્દ્ર આવેલું છે

BAPSનું સંત તાલિમ કેન્દ્ર અમદાવાદથી ૧૫૦ કિમી દૂર બોટાદ જીલ્લામાં આવેલું સારંગપુર ગામ સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલિમ કેન્દ્ર આવેલું છે. ગુરુ શાસ્ત્રી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું છે. વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલિમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી. ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવ દીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સને 1980માં ઊભી કરી દીધી.

પ્રથમ માતા-પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે. અહીં ત્રણ વર્ષની પૂર્વ સાધક તાલિમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસીણી પછી તેને પ્રાથમિક પાર્ષદ દિક્ષા આપવામાં આવે છે. મોટાભાગે દિક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સમૈયામાં રાખવામાં આવે છે.

શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમ પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દિક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યાર પછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે. હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલિમનો એક ભાગ છે. વળી, શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીશ્રીએ એટલું જ મહત્ત્વ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું, “સેવાથી નમ્રતા આવશે. જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે છે.”

પ્રમુખસ્વામી મહારાજની આ તાલિમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાને આત્મસાત કરી, ગામડે-ગામડે ફરી જન-જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન-કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે. આમ કુલ ૭ વર્ષનો અભ્યાસ કરીને આ સંતો નિયમ અને ભગવદ નિષ્ઠા દૃઢ કરીને સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સમર્પિત થાય છે.

Most Popular

To Top