Columns

અમેરિકા ઇરાન પર હુમલો કરશે તો ઇરાન તેનો જડબાંતોડ જવાબ આપશે

અમેરિકા અને ઇરાન વચ્ચેની મંત્રણાઓ નિષ્ફળ ગયા પછી યુદ્ધની સંભાવના વધી રહી છે. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુની અચાનક અમેરિકાની મુલાકાત યુદ્ધની વ્યૂહરચના માટેની તૈયારી સમાન જણાઈ રહી છે. અમેરિકા સાથેના તણાવને ધ્યાનમાં રાખીને ઈરાનના નેતૃત્વે સઘન રાજદ્વારી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈરાન માને છે કે ઈરાન પર અમેરિકાનો હુમલો પ્રાદેશિક યુદ્ધને વેગ આપી શકે છે. સાઉદી અરેબિયા, યુએઈ અને જોર્ડન પહેલાંથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ઈરાન પર કોઈ પણ હુમલા માટે તેમના હવાઈ ક્ષેત્ર અને જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.

ઈરાને ચેતવણી આપી છે કે તે અમેરિકા અને ઇઝરાયલી લશ્કરી થાણાંઓ અને સંસાધનોને પણ નિશાન બનાવી શકે છે. આનો અર્થ એ થયો કે ઇરાક, બહેરીન, કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને સીરિયામાં સંભવિત હુમલા થઈ શકે છે, કારણ કે તેમાં અમેરિકાનાં લશ્કરી થાણાંઓ આવેલાં છે. ઇરાન મધ્ય પૂર્વમાં પ્રાદેશિક શક્તિઓને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા સામે દબાણ લાવી શકે.

૨૦૨૫ના ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાના હુમલા બાદ ઈરાને અગાઉ કતારના અલ ઉદેદ એર બેઝ પર હુમલાની ચેતવણી આપી હતી. જો કે, વર્તમાન પરિસ્થિતિમાં ઈરાન કોઈ પણ અમેરિકન હુમલાને તેના અસ્તિત્વ માટે ખતરો માની શકે છે. ઈરાનમાં તાજેતરની અશાંતિ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં નવું નેતૃત્વ શોધવાનો સમય આવી ગયો છે અને નવાં વિરોધ પ્રદર્શનો શરૂ કરવાં અને ઈસ્લામિક રિપબ્લિકને ઉથલાવી પાડવા માટે લશ્કરી વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો. ઈરાને ચેતવણી આપી છે કે કોઈ પણ સ્તરના હુમલાને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે. આને ઈરાન દ્વારા અમેરિકાને ઈરાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાથી રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. દેશનિકાલ કરાયેલા વિપક્ષી નેતા રેઝા પહલવીએ આવા હુમલાની હાકલ કરી છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને વેગ આપી શકે છે.

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં આઠ કે નવ બેઝ પર ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકો તૈનાત છે અને તે બધા હજારો ઈરાની યુએવી (ડ્રોન) અને ઈરાની ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલોની રેન્જમાં છે. ઈરાન પાસે લગભગ ૨,૦૦૦ બેલિસ્ટિક મિસાઇલો હોવાનો અંદાજ છે, જેમાં ટૂંકા અને મધ્યમ અંતરની સિસ્ટમનો સમાવેશ થાય છે.

ઇઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન, ઇરાને અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાંથી કેટલીક ઇઝરાયલની અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીને ભેદવામાં સફળ રહી હતી. અમેરિકા પાસે આ ક્ષેત્રમાં મિસાઇલવિરોધી પ્રણાલીઓ છે, પરંતુ તેમને ઇઝરાયલ કરતાં ઘણા મોટા વિસ્તારનું રક્ષણ કરવું પડશે. ઈરાન દાવો કરે છે કે યુદ્ધ પછી તેની મિસાઈલ ક્ષમતાઓનું પુનઃનિર્માણ અને મજબૂતીકરણ કરવામાં આવ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે રશિયા અને ચીન ગયા વર્ષના જૂનથી ઈરાનને તેની લશ્કરી ક્ષમતાઓ વધારવામાં મદદ કરી રહ્યા છે.

ઈરાનની જૂની લશ્કરી ટેકનોલોજી અમેરિકન ટેકનોલોજીનો સામનો કરી શકતી નથી, તેથી તે તેની પરંપરાગત વ્યૂહરચના બદલી શકે છે. તે એકસાથે ઝડપી હુમલો કરતી બોટ અથવા ડ્રોન મોકલીને દુશ્મન સેન્સર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને હરાવવાનો પ્રયાસ કરી શકે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ વ્યાપકપણે ઉપયોગમાં લીધેલી વ્યૂહરચના જેવી જ વ્યૂહરચના ઈરાન અપનાવી શકે છે, જેમાં પર્સિયન ગલ્ફમાં તેની સ્પીડબોટ અને શાહેદ-૧૩૬ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. વધતા તણાવ વચ્ચે કેટલાક ઈરાની મીડિયા આઉટલેટ આ વ્યૂહરચના પર ભાર મૂકે છે. ૨૯ જાન્યુઆરીના રોજ ઈરાની સેનાએ જાહેરાત કરી કે તેને ૧,૦૦૦ વ્યૂહાત્મક ડ્રોન મળ્યાં છે.

ઈરાન દાયકાઓથી તેના સાથી લશ્કરી નેટવર્કને ભંડોળ અને સશસ્ત્ર બનાવે છે, જેને પ્રતિકારની ધરી તરીકે ઓળખવામાં આવે છે. આમાં ઇરાકનાં જૂથો, લેબનોનના હિઝબુલ્લાહ અને યમનના હૂથીઓનો સમાવેશ થાય છે. છેલ્લાં બે વર્ષમાં ઇઝરાયલે આ ઇરાની સાથીઓને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ઇરાનની તેની સરહદોની બહાર આક્રમણ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે.

તેમ છતાં, જો આ જૂથો સંયુક્ત રીતે અમેરિકાનાં લક્ષ્યો પર હુમલો કરશે તો તે ગંભીર ખતરો બની શકે છે. આ જૂથો ૨૦૨૫ના ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં સીધાં સામેલ નહોતાં, પરંતુ જો અમેરિકા સાથે યુદ્ધ ઈરાન માટે અસ્તિત્વનો પ્રશ્ન બની જાય, તો ઈરાન અને તેના સાથી દેશોની પ્રતિક્રિયાઓ બદલાઈ શકે છે. અત્યાર સુધી કેટલાંક ઇરાકી જૂથોએ ઈરાનનો બચાવ કરવાની વાત કરી છે. કતૈબ હિઝબુલ્લાહે ઈરાનને ટેકો આપવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેવી જ રીતે, અલ-નુજાબા મુવમેન્ટ અને બદ્ર ઓર્ગેનાઇઝેશને પણ ઈરાનને ટેકો આપવાની જાહેરાત કરી છે.

હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ શેખ નઈમ કાસેમે ઈરાનને ટેકો વ્યક્ત કર્યો છે અને હુમલા સામે ચેતવણી આપી છે, પરંતુ કહ્યું છે કે જો અમેરિકા ઇરાન પર હુમલો કરશે તો તેમનું જૂથ ક્યારે અને કેવી રીતે હસ્તક્ષેપ કરવો તે નક્કી કરશે. જો કે, ઇરાક અને લેબનોન બંનેમાં આ જૂથો પર તેમનાં શસ્ત્રો સોંપવાનું દબાણ છે અને જો તેઓ સંઘર્ષમાં ઊતરે તો આ દબાણ વધી શકે છે. જો અમેરિકા ઈરાન પર હુમલો કરે તો હુથીઓ લાલ સમુદ્રમાં અમેરિકાનાં જહાજો પર ફરીથી હુમલાઓ શરૂ કરી શકે છે. ૨૬ જાન્યુઆરીના રોજ, હુથીઓએ એક વિડિઓ બહાર પાડ્યો હતો, જેમાં એક જહાજ આગમાં લપેટાયેલું દર્શાવવામાં આવ્યું હતું. જો હુથીઓ અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામ કરારનું પાલન કરવા માંગતા હોય, તો તેઓ ઈરાનને ટેકો ન આપવાનો પણ નિર્ણય લઈ શકે છે.

ઈરાન તરફથી એક જૂનો ખતરો છે, જે હોર્મુઝની સામુદ્રધૂની બંધ કરવાનો છે. પશ્ચિમી દેશો સાથેના દરેક મોટા તણાવ દરમિયાન વારંવાર તેની ધમકી આપવામાં આવે છે. ગલ્ફનો આ સાંકડો માર્ગ વિશ્વના તેલ ટ્રાફિકના લગભગ પાંચમા ભાગ માટે જવાબદાર છે. તેને બંધ કરવા માટે નૌકાદળની બોટો, ક્રુઝ મિસાઇલો, દરિયાકાંઠાના સંરક્ષણ અને સ્પીડબોટનો ઉપયોગ કરી શકાય છે. જો કે, આ ઈરાનનો છેલ્લો ઉપાય હશે, કારણ કે તે તેના સૌથી મોટા તેલ ગ્રાહક અને સાથી ચીન સાથેના વેપારને ગંભીર અસર કરશે અને અત્યાર સુધી ઈરાનને ટેકો આપતા ગલ્ફ દેશોને પણ નુકસાન પહોંચાડશે. કદાચ આ જ કારણ છે કે તાજેતરના અમેરિકા-ઈરાન તણાવ દરમિયાન ઈરાનની ધમકીમાં આ વિકલ્પ મુખ્ય રહ્યો નથી અને ફક્ત એક જ સાંસદે તેની માંગણી કરી છે.

જો કે ઈરાન અને અમેરિકા બંને રાજદ્વારી ઉકેલને પ્રાથમિકતા આપે છે, પરંતુ તેમના વિચારોમાં મોટા અંતરને કારણે સોદો સરળ રહેશે નહીં. જો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર બળનો ઉપયોગ કરે તો ઈરાનની જાહેર કરેલી વ્યૂહરચનાઓ ઝડપથી બદલાઈ શકે છે અને તે ઈસ્લામિક રિપબ્લિકને બચાવવા માટે અમેરિકાને કેટલીક છૂટછાટો આપી શકે છે. બીજી બાજુ, ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાને એટલું નુકસાન પહોંચાડી શકે છે કે તેને ફરીથી વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવું પડી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર સમાધાન કરવાનો ઇનકાર કરે તો તે તેના પર હુમલો કરવા માટે તૈયાર રહેશે. ઈરાન કહે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને તેણે અમેરિકા અને તેના સાથી દેશોના આરોપોને વારંવાર નકારી કાઢ્યા છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ગયા મહિને, ડોનાલ્ડ ટ્રમ્પે સરકાર વિરોધી પ્રદર્શનોના હિંસક દમનના જવાબમાં ઇરાનમાં વિશાળ લશ્કરી કાફલો મોકલવાની જાહેરાત કરી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top