આઈસીસીએ એશિયા કપમાંથી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવાની પીસીબીની માંગણીને ફગાવી દીધી છે. આઈસીસીએ આ મામલાની તપાસ કર્યા પછી પીસીબીને તેના નિર્ણયની જાણ કરી છે. પીસીબીએ આઈસીસીને લખેલા પત્રમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જો એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો તેઓ તેમની ટીમને ટુર્નામેન્ટમાંથી પાછી ખેંચી લેશે. પાકિસ્તાનનો આગામી મેચ કાલે યુએઈ સામે છે.
એશિયા કપ મેચ પછી ભારતીય ટીમના પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ નારાજગી વ્યક્ત કરી હતી અને આ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમને હટાવવાની માંગ કરી હતી.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 7 વિકેટની જીત બાદ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 પ્રવાસીઓના પરિવારો સાથે એકતા દર્શાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.
પીસીબીએ સમગ્ર ઘટના અંગે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ને ફરિયાદ કરી છે અને આઈસીસીના હસ્તક્ષેપની પણ માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો પાકિસ્તાને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપી છે.

નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે PCB એ ક્રિકેટની ભાવના અને ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે અને મેચ રેફરીને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ACC મધ્યમ માર્ગ શોધી રહ્યું છે અને ફક્ત પાકિસ્તાન સાથે સંકળાયેલી મેચોમાંથી પાયક્રોફ્ટને દૂર કરવાનું વિચારી શકે છે. 69 વર્ષીય ઝિમ્બાબ્વેના પાયક્રોફ્ટ હાલમાં બુધવારે UAE સામે પાકિસ્તાનની છેલ્લી ગ્રુપ મેચમાં અમ્પાયરિંગ કરવાના છે.