Comments

ક્યાં સુધી ભીષ્મ બનીને દુર્યોધનનાં કુકર્મોને છાવરતાં રહેશો?

સુરતના તક્ષશિલા કાંડને પાંચ વર્ષ થયાં અને રાજકોટમાં ગેમ જોનમાં મોતનું તાંડવ સર્જાયું.  ગુજરાતમાં હવે આવા ઘટનાક્રમની નવાઈ નથી લાગતી. હા, એટલું ચોક્કસ છે કે ભૌતિક અને મોટા કાંડ થાય તો જ એ ચર્ચાનો વિષય પણ બને છે. બાકી કારખાનામાં બોઈલર ફતવાથી બે નાં મોત. ગટરમાં સફાઈ કામદારનાં મોત. બિલ્ડીંગ સાઈટ પર મજૂરનાં મોતનો  સિલસિલો ચાલુ જ છે અને શિક્ષણ આરોગ્ય જેવી જાહેર સેવાઓમાં વ્યાપક અરાજકતાની તો ચર્ચા જ નથી.

મૂળ વાત એ છે કે ગુજરાતમાં સત્તામાં તો ભાજપ છે પણ શાસનમાં કોઈ નથી. નકલી નાકું ઊભું કરી રૂપિયા ઉઘરાવો કોઈ બોલતું નથી. નકલી કચેરીઓ ચલાવી સરકારી ગ્રાન્ટ લઈ લો કોઈ બોલશે નહિ. હોટલો, સિનેમાઘરો સ્કૂલો કોલેજો ..ક્યાંય પણ જાહેર જીવનના કોઈ નિયમો પાળતા નથી. માત્ર જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે થોડી હો હા થાય છે. આવા સમયે બે મહાન ગ્રંથો ટાંકવાનું મન થાય છે મહાભારત અને રામાયણ.

મહાભારત અને રામાયણ ભારતીય પ્રજાનું માર્ગદર્શન કરનારા મહાન સાહિત્ય ગ્રંથ છે. અત્યંત સૂચક રીતે આ ગ્રંથોમાં પાત્રો,ઘટનાઓ લખાયાં છે ઘણું બધું સિમ્બોલિક છે. રૂપકો વપરાયાં છે. જો ધ્યાનથી આ સૂચકો, રૂપકોના અર્થ ઉકેલીએ તો આપણને આજના ભારતમાંના ઘણા પ્રશ્નો સમજવામાં અને ઉકેલવામાં મદદ મળે.જેમકે ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એ દીકરાના અવગુણો માટે આંખ મીંચામણાં કરતા પિતાનું પાત્ર છે.અંધ પુત્રપ્રેમ અને એમાંથી ઉદ્ભવતા વિનાશની કથા છે. તો ભીષ્મ એ અત્યાચારી અને અન્યાયી શાસક માટે આંધળી નિષ્ઠાનું પ્રતીક છે.

ભારતમાં અત્યારે રામાયણનાં આદર્શ પાત્રો કરતાં મહાભારતનાં  વાસ્તવિક પાત્રો જોવા મળે છે. ભારતમાં અત્યારે જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. અંબાજીમાં નકલી ઘીનો મુદ્દો હોય કે અમદાવાદમાં હાટકેશ્વર નજીક બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર, મોરબીના પુલની દુર્ઘટના હોય કે નકલી અધિકારીઓનાં પરાક્રમો. વર્તમાન સરકાર પર અનેક મુદ્દે પ્રશ્નો થયા છે. સરકાર પણ પ્રવચન તો એવાં જ કરે છે કે અમે ભ્રષ્ટાચાર દૂર કરીશું …પણ હકીકત તો કંઈ જુદી જ છે.તો આ હકીકત શું છે?

આ દેશની હકીકત એ છે કે દેશમાં થોડાંક ભ્રષ્ટ અને અન્યાયી લોકોનું શાસન  પૂરબહાર ખીલ્યું છે કારણકે એમને ભીષ્મ  જેવા નિષ્ઠાવાન,પ્રામાણિક લોકો મળી ગયાં છે. આ દેશમાં અપ્રામાણિક લોકોનો કારોબાર પ્રામાણિક લોકો નિષ્ઠાથી ચલાવે છે એટલું જ નહિ, અન્યાય સહન કરવામાં નિષ્ઠા સમજે છે તથા દુ:ખ તો એ વાતનું છે કે કોઈ આ અન્યાય અત્યાચાર સામે અવાજ ઉઠાવે, ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે તો એને પેલા અપ્રામાણિક  લોકો પહેલાં આ પ્રામાણિક નિષ્ઠાવાન લોકોનો સામનો કરવો પડે છે. જેમ દુર્યોધનને બચાવવા ભીષ્મ મેદાને પડ્યા હતા તેમ આ પ્રામાણિક લોકો અત્યાચારીઓને બચાવવા મેદાને પડે છે.

જરા ધ્યાનથી જુવો, સમાજજીવનમાં  રાજકીય પાર્ટી હોય ,ધાર્મિક સંગઠન હોય ,શિક્ષણ સંસ્થા હોય, આરોગ્યની સંસ્થાઓ હોય, બધે જ મૂળ માલિક સત્તાવાળાં ભ્રષ્ટ અન્યાયી હોય પણ એમનો વહીવટ કરનારા અત્યંત પ્રામાણિક રીતે વહીવટ કરે.બધા જ ભ્રષ્ટાચાર છુપાવે એટલે આ સંસ્થાનો કોઈ કર્મચારી કે અન્યાયનો ભોગ બનેલો માણસ જયારે આ સંસ્થા સામે અવાજ ઉઠાવે તો એને પહેલાં પેલા દુરાચારીનો સામનો કરવો નથી પડતો. એને પહેલાં પ્રામાણિક લોકોનો સામનો કરવો પડે છે.

થોડાં વર્ષો પહેલાં બાબા રામ રહીમના કાંડ ખુલ્યા હતા, પછી  આશારામનાં કરતુત ખૂલ્યાં. હવે નકલી અધિકારીઓ અને નકલી નિમણૂકોના કાંડ ખૂલે છે તો  કોઈને પ્રશ્ન થાય છે કે આટલું બધું આટલો લાંબો સમય કેવી રીતે ચાલ્યું? આ કિસ્સાઓમાં કોઈ ફરિયાદ થઈ મામલો સામે આવ્યો. પણ આપણું મિડિયા, આપણાં પત્રકારો આ બાબતો સામે લાવી શક્યા નહિ. આ આશ્રમોમાં જે ચાલે છે તે જ બધું ઘણી શિક્ષણસંસ્થાઓમાં ચાલે છે.આરોગ્ય ધામોમાં ચાલે છે.  ઓફિસો અને ચેનલોના ધંધામાં ચાલે છે.

ક્રિકેટમાં ચાલે છે, ફિલ્મોમાં ચાલે છે, પણ આ બધું જ બહાર નથી આવતું કારણ કે આ બધી જ જગ્યાએ પ્રામાણિક લોકો આ બાબતોની આડે ઊભા છે. ક્યારેય તમે જોયું કે દેશ દુનિયાના ભ્રષ્ટાચાર ખોલનાર પત્રકારે પોતાના અખબાર કે ચેનલમાં થતા શોષણની વાત કરી. કોઈ શિક્ષણસંસ્થાના શિક્ષકે પોતાની સંસ્થામાં ચાલતા શોષણની વાત કરી. કોઈ ક્રિકેટરે સામેથી ખોટાં કામો ખુલ્લાં પડ્યાં.એકલદોકલ કિસ્સા સિવાય આવું ક્યાંય થયું નથી અને જ્યાં આવો કોઈ અવાજ ઊઠ્યો ત્યાં એ એકલો પડી ગયો અને માટે જ તે દબાવવો સહેલો થઈ ગયો.

જરા નજર દોડાવો. આપણી આસપાસ એવાં હજારો લોકો છે, જે ઘરના રોટલા ખાઈ વર્ષોથી અન્યાયી શાસકોનું ભલું કરી રહ્યા છે.થિયેટરના મેનેજરો બહુ ઓછા પગારમાં વર્ષોથી  ખોટા હિસાબો સાચવી રહ્યા છે. શિક્ષકો અને આચાર્યો નિષ્ઠાપૂર્વક ટ્રસ્ટીઓનાં ખીસાં ભરી રહ્યાં છે. રાજકીય પાર્ટીના સભ્યો પોતાના નેતાના ભ્રષ્ટાચાર  અને અન્યાયો બચાવવા મહેનત કરી રહ્યા છે.ધર્મગુરુઓના શિષ્યો જ અધર્મ બચવી રહ્યા છે .જ્યાં જુવો ત્યાં ધૃતરાષ્ટ્ર છે.

ભીષ્મ છે. પણ જટાયુ અને વિભીષણ ક્યાંય નથી.મહાભારતમાં કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે તે ખરેખર તો ભીષ્મને સમજવાનો છે કે ધર્મના (ફરજના )પાલનમાં સંબંધો વચ્ચે ના આવે. આપણી નિષ્ઠા વ્યક્તિ માટે નહિ, વિચાર માટે હોવી જોઈએ,કલ્યાણ માટે હોવી જોઈએ. આ દેશની વર્તમાન સ્થિતિમાં તે આ અપ્રામાણિક લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરનારા વધારે જવાબદાર છે.આપણે અર્જુન અને વિભીષણમાંથી પ્રેરણા લેતાં થઈએ અને ભીષ્મે કરેલી ભૂલ ના કરીએ તો જ કંઈ વાત બને.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top