Charchapatra

ઘર ઘર સ્વદેશી

અત્યારે કેન્દ્ર સરકાર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું જે અભિયાન ચલાવી રહી છે, ત્યારે આવા ઘણા પ્રશ્નો લોકોનો મોઢે સાંભળવા મળી રહ્યા છે, કે એકબાજુ કેન્દ્ર સરકાર પોતે જ વિદેશી મૂડીરોકાણ માટે વિદેશી રોકાણકર્તાઓને આવકારતી હોય અને બીજી બાજુ સ્વદેશીની વાતો કરે, એ શું વિરોધાભાસી નથી? આપણે જો પોતાના ઉત્પાદનો દુનિયાના બજારોમાં વેચવા હોય તો દુનિયાના અન્ય દેશોના ઉત્પાદનોને પણ આપણા દેશમાં વેચવાની મોકળાશ આપવી પડે.

એમાં સ્વદેશીનો આગ્રહ નહી ચાલે. અમારે તો સ્વદેશી જ વાપરવું છે, પણ દેશમાં વિદેશી ઉત્પાદનો વેચાતા હોય તો અમે શું કરીએ? અમારે સ્વદેશી તો વાપરવું છે પણ આપણા દેશની ચીજવસ્તુઓની ઓછી ગુણવત્તાનું શું કરીશુ? આવા પ્રશ્નો પૂછાવા પણ જોઈએ. આપણે કોઈપણ બાબતે તર્ક, અને આપણા સ્વવિવેકથી સંમત થયા પછી જ તે બાબત અપનાવવાની હોય. તો ચાલો આપણે આવા પ્રશ્નોનો તર્કબધ્ધ જવાબ જોઈએ. બીજા વિશ્વયુધ્ધ પછી ઠંડુ યુધ્ધ જયારે ચરમે હતું ત્યારે અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટરને એક પત્રકારે એ પકારનો પ્રશ્ન કર્યો કે ‘તમારા મતે અમેરિકાનું સૌથી મોટુ દુશ્મન કોણ? બેરોજગારી કે રશિયા?’ તો કાર્ટરે જવાબ આપેલો કે, અમેરિકાનું જો કોઈ મોટો દુશ્મન હોય તો તે જાપાન છે. કેમ કે રશિયા સામે આપણે યુધ્ધ કરી શકીએ છીએ.

પણ જાપાન જે રીતે સ્વદેશીના હથિયારથી આપણી સામે લડે છે તેનો આપણી પાસે કોઈ જવાબ નથી. તે સમયે આખી દુનિયાભરના બજારો મેડ ઈન જાપાનનો ડકો વગાડતા ઉત્પાદનોથી ઉભરાતા હતા, તેમાં અમેરિકા પણ બાકાત નહોતું. અમેરિકાની ઉત્પાદન ક્ષમતા જાપાન કરતા પણ વધુ હતી છતાં જાપાન અમેરિકાને વેપાર યુધ્ધમાં હંકાવતું હતું. કેમ કે, જાપાની પ્રજા પોતાના દેશમાં, વૈશ્વિક વ્યાપારના તમામ નિયમોના દાયરામાં રહીને પણ અમેરિકી ઉત્પાદનોનો ચૂપચાપ બહિષ્કાર કરતી હતી. એટલે જ, અમેરિકાના પ્રમુખ કાર્ટરે કહયું હતું કે, જાપાનને હરાવવું અઘરું છે. આમ, સ્વદેશી અને આત્મનિર્ભરતા એ સરકારનું કામ છે જ નહિ, એ પ્રજા તરીકેની આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. માતાને પ્રેમ કરો, પિતાનો આદર કરો એમ કોઈ વડાપ્રધાને આપણને કહેવું પડે ખરું? જો નહિ તો પછી માભોમને અને પિતૃ સંસ્કારીતાનો આદર કરવાનું કોઈએ આપણને શા માટે કહેવું પડે? શું આપણે સ્વદેશી અને આત્મનિર્ભરતાને આપણી પ્રકૃતિ નહી બનાવી શકીએ?
નેત્રંગ    – જયસીંગ ગામિત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top