ગાંધીનગર : રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવકમર્યાદા રૂ. ૨.૫૦ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરી છે.
આ જ પ્રકારે, શિક્ષણ ક્ષેત્રે ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ૧૧ લાખ કિશોરીઓને અને ‘નમો સરસ્વતી’ યોજના હેઠળ ૧.૫૦ લાખ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. જેના પરિણામે શાળામાં ડ્રોપઆઉટ રેટ ઘટીને માત્ર ૨.૪૨ ટકા રહ્યો છે. રાજ્યમાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’ અને ‘મોડલ સ્કૂલ’ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ માટે Student Start up & Innovation Policy 2.0 હેઠળ ૪,૯૪૮ પ્રૂફ ઓફ કન્સેપ્ટ ૨,૨૮૨ IP ફાઈલિંગ, ૮૨૮ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપવામાં આવ્યો છે, તેવું વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.
પ્રદ્યુમન વાજાએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં ૧૯ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે અને એક લાખથી વધુ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ પેટે રૂ. ૫૮.૭૭ કરોડની સહાય આપી છે.