National

હિમાચલ પ્રદેશ સરકારનો યુ-ટર્ન, કોર્ટમાં કહી દીધું- દિલ્હી સરકારને આપવા માટે વધારાનું પાણી નથી

પહેલેથી જ આકરી ગરમી અને પાણી માટે વલખા મારતી દિલ્હીને આજે સુપ્રીમ કોર્ટ તેમજ હિમાચલ પ્રદેશ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પડોશી રાજ્યો પાસેથી વધારાના પાણીની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી દિલ્હી સરકારની અરજી પર કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે હિમાચલ પ્રદેશ, જે અગાઉ દિલ્હીને 137 ક્યુસેક પાણી આપવા માટે સંમત થયો હતો તે પણ આજે ફરી ગયું છે. હિમાચલે કહ્યું કે તેની પાસે દિલ્હીને આપવા માટે વધારાનું પાણી નથી તેથી તે વધારાનું પાણી નહીં આપે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અપર યમુના રિવર બોર્ડ (UYRB)ને અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકારે યુ-ટર્ન લીધા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. હિમાચલ સરકારે જણાવ્યું કે તેમની પાસે વધારાનું પાણી નથી. આના પર જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે દિલ્હી સરકારને સાંજે 5 વાગ્યા સુધીમાં અપર યમુના રિવર બોર્ડ સમક્ષ અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે માનવતાના આધાર પર અપીલ કરવી જોઈએ. હિમાચલ પ્રદેશ સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેમની પાસે વધારાનું પાણી છે. ત્યારબાદ કોર્ટે હિમાચલને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો જે હરિયાણા થઈને દિલ્હી પહોંચવાનું હતું પરંતુ હવે હિમાચલે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે 137 ક્યુસેક વધારાનું પાણી નથી.

કોર્ટે બોર્ડમાં અપીલ કરવાની સૂચના આપી હતી
ખંડપીઠે કહ્યું કે રાજ્યો વચ્ચે યમુનાના પાણીનું વિભાજન એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે અને આ કોર્ટ પાસે તેના પર નિર્ણય લેવાની તકનીકી કુશળતા નથી. આવી સ્થિતિમાં આ બાબત બોર્ડ પર છોડી દેવી જોઈએ જે વર્ષ 1994 માં વિવિધ પક્ષકારો વચ્ચે સમજૂતી પછી એમઓયુ દ્વારા રચવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અપર યમુના રિવર બોર્ડે પહેલાથી જ દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અરજી દાખલ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે પિટિશન ફાઈલ કરવી જોઈએ અને જો તેણે હજુ સુધી આમ ન કર્યું હોય તો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં દાખલ કરો. આ બાબતે આવતીકાલે બોર્ડની બેઠક મળવી જોઈએ અને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.

જણાવી દઈએ કે દિલ્હી આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હરિયાણામાંથી વધારાનું પાણી દિલ્હીને આપવાની માગણી કરી હતી જેથી કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ દૂર થઈ શકે.

Most Popular

To Top