Gujarat

ઈમ્પેકટ ફીની સમય મર્યાદા ચાર માસ વધારાઈ – વિધાનસભામાં વિધેયક પસાર

ગાંધીનગર: ગુજરાત (Gujarat) અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયુ હતુ. જેના પગલે હવે રાજયમાં શેહરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે શહેરીજનોને વધારાના ચાર માસનો સમય મળી ગયો છે.આ ચાર માસની અંદર અરજી કરી દેવાની રહેશે.

વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા રાજયના સીનીયર કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મહાનગરપાલિકા, સત્તામંડળો અને નગરપાલિકાઓ તેમજ પ્રજાજનો દ્વારા સમયમર્યાદા વધારવાની લેખિત-મૌખિક રજૂઆતો સરકારને મળી હતી. જેના પગલે વિધેયકમાં સુધારો કરાયો છે. પટેલે વધુમાં કહ્યું હતું કે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મૂળ વિધેયકની કલમ 5(2)માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5(2-અ) ઉમેરી શરતોને આધિન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે.

કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50% રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે. 14 ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 57 હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી હતી.

તેમણે કહ્યું હતું કે સુધારા વિધેયક અન્વયે RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં. 01/10/2022 પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે

Most Popular

To Top