Gujarat

રાજ્યમાં કોરોનાના નવા કેસ 10હજારની નજીક

ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની (Corona) ત્રીજી લહેર વધુ ને વધુ આક્રમક બની રહી છે. આજે રાજ્યના તમામ શહેર વિસ્તારો અને જિલ્લાઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે કોરોનાના કેસો નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના 9941 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2, વલસાડમાં 1 અને રાજકોટ ગ્રામ્યમાં 1 મળી કુલ ચાર દર્દીનું મૃત્યુ (Dead) થયું છે. આમ રાજ્યમાં કોરોના થી 10,137 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસ વધીને 43,726 ઉપર પહોંચી ગયા છે. જેમાંથી 51 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 43675 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3449 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે.

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 3843 નોંધાવા પામ્યા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઈએ તો સુરત શહેરમાં 2505, વડોદરા શહેરમાં 776, રાજકોટ શહેરમાં 319, સુરત ગ્રામ્યમાં 265, વલસાડમાં 218, ભરૂચમાં 217, ગાંધીનગર શહેરમાં 150, નવસારીમાં 147, ભાવનગર શહેરમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગર ગ્રામ્યમાં 94, ખેડામાં 94, વડોદરા ગ્રામ્યમાં 86, જામનગર શહેરમાં 77, મહેસાણામાં 63, અમદાવાદ ગ્રામ્યમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટ ગ્રામ્યમાં 56, બનાસકાંઠામાં 53, પાટણમાં 49, જૂનાગઢ શહેરમાં 39, ગીર સોમનાથમાં 38, સાબરકાંઠામાં 35, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગર ગ્રામ્યમાં 26, પંચમહાલમાં 26, જામનગર ગ્રામ્ય 24, મહીસાગરમાં 20, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, જુનાગઢ ગ્રામ્યમાં 11, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 1, એમ કુલ મળીને રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં 9941 કેસ નોંધાયા છે.

રસીકરણ
રાજયમાં આજે દિવસ દરમ્યાન 3.02 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 101129 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 10332 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 24468 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 53538 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 65036 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 46650 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,41,33,701 લોકોને રસી આપવામાં આવી છે.

રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ કેસ નહીં નોંધાયો
રાજયમાં બુધવારે ઓમિક્રોનનો એક પણ કેસ નહીં નોંધાતા તંત્રને આ બાબતે હાશકારો થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઓમિક્રોનના કુલ 264 કેસ નોંધાયા છે જેની સામે 238ને રજા આપી દેવામાં આવી છે. હાલ રાજ્યમાં ઓમિક્રોનના માત્ર 26 દર્દી સારવાર હેઠળ છે.

કોરોનાના નવા 3843 કેસ પગલે અમદાવાદમાં હવે 180 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
અમદાવાદમાં કોરોનાના નવા 3843 કેસોના પગલે ચિંતાજનક સ્થિતિ પેદા થવા પામી છે. જેના પગલે અમદાવાદ મનપાના સત્તાવાળાઓ દ્વારા 20 જુના કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરીને તેના સ્થાને નવા 20 કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. આ સાથે કોરોનાના વધતાં જતાં કેસોના પગલે હવે અમદાવાદમાં 180 કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે. નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મકરબા, સાઉથ બોપલ, જોધપુર, નાના ચીલોડા, નવા વાડજ, રાણીપ, નારણપુરા, શાહીબાગ, નિકોલ, સોલા, બોડકદેવ અને ઈસનપુરનો સમાવેશ થાય છે.

Most Popular

To Top