Gujarat

વાહન વ્યવહાર વિભાગનું 3055.19 કરોડનું બજેટ વિધાનસભામાં પસાર કરાયુ

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે વાહન વ્યવહાર વિભાગનું ૩૦૫૫.૧૯ કરોડનું બજેટ (Budget) પસાર કરાયુ હતું. વાહન વ્યવહાર વિબાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે ગયા વર્ષ કરતા આગામી વર્ષે ૧૩૮.૫૪ ટકાનો વધારો કરીને 3055.19 કરોડનુ બજેટ મંજૂર કરાયુ છે.તેમણે કહયું હતું કે રાજ્યની આર્થિક વિકાસની સાથે સાથે વાહનોની સંખ્યા તથા વાહન વર્ષ ૧૯૯૬-૯૭ માં કુલ નોંધાયેલ વાહનોની સંખ્યા ૩૭.૭૬ લાખ હતી, જે આજે આશરે ૩ કરોડ જેટલી થઈ ગઈ છે.

સંધવીએ કહયું હતું કે રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ આપવા તથા નાણા અને સમયનો બચાવ કરવા ચેકપોસ્ટ નાબુદ કરી ઓડીસી મોડ્યુલ અને ટેક્ષ મોડ્યુલની સુવિધા અમલમાં મુકવામાં આવી છે. તેમજ ચલણ ઇસ્યુ કરવા અર્થે ઓન ધ સ્પોટ પેમેન્ટની સુવિધાથી સજજ હેન્ડ હેલ્ડ ડીવાઇસ/POS નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ-૨૦૨૨ દરમ્યાન ઓડીસી મોડ્યુલમાં કુલ ૩ લાખ ૬૦ હજાર કેસ નોંધાયેલ છે, આ થકી ૧૩૪ કરોડની રીકવરી અને વર્ષ-૨૦૨૨ દરમ્યાન ટેક્ષ મોડ્યુલમાં કુલ ૫ લાખ ૧૨ હજાર કેસ નોધાયેલ છે આ થકી ૬૪ કરોડની રીકવરી થઈ છે. વર્ષ-૨૦૨૨ દરમ્યાન ઓડીસી મોડ્યુલમાં ચલણ ન લીધેલ હોય તેવા ૩૭,૮૫૩ કેસ રાજ્યના ચેક પોઈન્ટ ખાતે નોંધાયેલ છે.

તેમણે કહ્યું હતું કે, પર્યાવરણ માટે ચિંતિત ગુજરાત સરકારે હંમેશા વાયુ પ્રદુષણને ઘટાડવા તથા ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી અમલી બનાવાઈ છે. તા.૦૧.૦૭.૨૦૨૧થી ખરીદાયેલા વિવિધ ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે. જેમાં કુલ બે લાખ જેટલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ફેમ-૨માં તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલ સબસીડી ચૂકવાશે.

સબસીડીનું ધોરણ વાહનની બેટરી કેપેસીટી(kwh) પર નિયત કરેલ છે. ૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સબસીડી મેળવવા માટે ખુબ સરળ પધ્ધતિ અમલમાં મુકી છે. વાહન માલિકે વાહન નોંધણી કર્યા બાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિના મુલ્યે અરજી કરવાની રહે છે અને ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદકર્તા વાહનધારકને સબસીડીની રકમ DBT દ્રારા અરજદારના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૫૧,૨૨૬ લોકોને રૂ.૧૨૫.૨૦ કરોડ રકમની સબસીડી સીધી તેમના ખાતામાં આપી છે. રાજયમાં ૬૯,૦૮૨ ઇ-વ્હીકલ્સ સબસીડીની કુલ મળેલ અરજીઓ મળી હતી તે પૈકી ૫૩,૯૯૮ અરજીઓ મંજુર કરાઈ છે.

૧૫ વર્ષ જુના નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ૮ વર્ષ જુના ટ્રાન્સપોર્ટ વાહનોને સ્ક્રેપ કરાશે . હાલ રાજયમાં નોંધાયેલ અંદાજીત ૨૩ લાખ વાહનો આ પોલિસી હેઠળ સ્ક્રેપ થશે. સ્ક્રેપ સેન્ટરના નિર્માણ અર્થે ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવાની કામગીરી હાલ કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરાઈ છે. રાજ્યમાં કુલ પાંચ સ્ક્રેપીંગ ફેસીલીટીને મંજુરી આપવામાં આવી છે. તેની વાર્ષિક સ્ક્રેપીંગ ક્ષમતા ૩.૦૦ લાખ વાહનો સ્ક્રેપ કરવાની છે. તેમણે કહ્યુ હતું કે, વાહનના ફીટનેસ ઇન્સપેકશનની કામગીરી આરટીઓ કચેરીઓમાં મેન્યુઅલ કરવામાં આવે છે. જેને સ્થાને ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌ પ્રથમ ઓટોમેટેડ ફીટનેશ સેન્ટર સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં આધુનિક ઉપકરણોની મદદથી કુલ ૧૪ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.

વાહનનું ફીટનેસ રીન્યુઅલ કરવા ઇચ્છૂક અરજદારે નિયત ફી ભરી AFMS મોડયુલ પર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશનની પસંદગી કરી સ્લોટ બુક કરાવવાનો રહે છે. વાહનના ફીટનેશ ટેસ્ટ પૂરા થયેથી અરજદાર તેઓનું ફીટનેશ સર્ટીફીકેટ પણ AFMS મોડયુલ પરથી ડાઉનલોડ કરી શકે છે. વાહનોના ફીટનેશ ટેસ્ટીંગ મેન્યુઅલમાંથી ઓટોમેટીક કરવા કુલ ૨૦૪ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશનને શરતી પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. અંજાર(કચ્છ) અને બાવળા(અમદાવાદ) ખાતે અત્રેની કચેરી હેઠળ ઓટોમેટેડ ફીટનેશ સેન્ટર શરૂ કરવાની કામગીરી પ્રગતિમાં છે.

સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ગયા વર્ષના ૯૬૮.૭૪ કરોડની સાપેક્ષે આગામી વર્ષમાં ૨૬૨૧.૩૮ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. જે ગયા વર્ષના બજેટ કરતા આશરે ત્રણ ગણી છે. આગામી સમયમાં નવી ૨૦૦૦ બસો ખરીદવાનું લક્ષ્યાંક નિયત કરાયો છે. જે તબક્કાવાર સેવાઓમાં મૂકાશે. એસ ટી નિગમ કુલ ૮૦૦૯ બસો જેમાં ૨૯૭ સ્લીપર કોચ, ૧૧૧ લકઝરી, ૧૧૨૩ સેમી લકઝરી, ૫૨૯૨ સુપર ડિલક્ષ અને ૧૧૮૬ મીડી બસનો કાફલો ધરાવે છે. મુખ્યમંત્રીના હસ્તે ૧૫૧ લકઝરી અને ૪૦ સ્લીપર કોચ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા જામનગરમાં ૧૫૧ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ૫૯૮ વાહનો એપ્રિલ-૨૩ સુધીમાં પ્રજાની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત ૪૦૦ સુપર એક્સ્પ્રેસ, ૨૦૦ સેમી લકઝરી અને ૨૦૦ નોન એસી સ્લીપર કોચ બસો પણ આગામી સમયમાં ડિસેમ્બર -૨૩ સુધીમાં પ્રજાને સેવામાં મુકવાનું આયોજન છે.

Most Popular

To Top