Charchapatra

ગંભીરા પુલ અકસ્માત

દરેક વર્ષ ચોમાસા પહેલાં નગરપાલિકા કે મહાનગરપાલિકા પ્રિ. મોન્સૂન પ્લાન તૈયાર કરતી હોય છે. આમ છતાંયે 2-3 ઈંચ વરસાદમાં જ ગોઠણ સમાં પાણી ભરાઈ જાય છે, ગટરો ઉમેરાય છે, પાણીનો ભરાવો થાય છે, રસ્તા પર ખાડા અને ભુવાઓ પડે છે. મોરબી ઝૂલતા પુલ કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત સરકારે હાઈ કોર્ટમાં ખાતરી આપી હતી કે તમામ પુલોની ચકાસણી કરવામાં આવશે. હાઈ કોર્ટે પણ ટકોર કરી હતી કે કોઈ નાગરિકે જીવ ગુમાવવો ન પડે તે જોવાની સરકારની જવાબદારી છે.

ગંભીરા પુલ અકસ્માતના બનાવના 3 વર્ષ અગાઉ પુલ તૂટવાની સંભિવતતા બાબતે સરકારને જિલ્લા પંચાયત સભ્ય દ્વારા ચેતવણી અપાઈ હતી. પરંતુ કાને ધરાઈ નહીં અને 13 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો. ત્રણ વ્યક્તિ લાપતા છે. રસ્તામાં ખાડા-ભુવા, પાણી ભરાવો, માર્ગ અકસ્માતોમાં રોજેરોજ થતા મૃત્યુના બનાવો તરફ સરકાર સહેજ પણ ગંભીર નથી. રસ્તા, પુલ બનાવનાર કે મરામત કરનાર કોન્ટ્રાક્ટરનાં નામ સરનામાં તથા ફોન નં. સાથે વિગત મૂકવી જોઈએ. તેમની પાસેથી અકસ્માત પ્રસંગે જવાબદારીનો એકરાર કરતું લખાણ લેવું જોઈએ અને મૃતકના વારસદારને વળતરની રકમ તેમની પાસે વસૂલવી જોઈએ.
સુરત     – અશ્વિનકુમાર ન. કારીઆ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત શહેર ક્રાઈમનું મુખ્ય મથક બની રહ્યું છે
એક સમય હતો, જ્યારે સુરત શહેર શાંતિમય શહેર તરીકે દેશમાં પ્રખ્યાત હતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અભ્યાસ કરતાં જણાશે કે સુરત શહેરમાં ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, કિડનેપીંગ, ડ્રગ્સ સપ્લાય અને સાઈબર ક્રાઈમની ટકાવારી ખૂબ જ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગઈ છે અને નિરંતર વધી રહી છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ અંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ સુરત શહેરની જનતાના હિતમાં ખૂબ જ ગંભીરતાથી વિચારીને કંઈક નવી રણનીતિ બનાવવી અનિવાર્ય બન્યું છે. જેથી ક્રાઈમ કરનારાઓના મનમાં ડર-ભય- ઉદ્ભવે જે ખૂબ જ જરૂરી બન્યું છે. કોઈ ગુનેગાર કોઈ પણ ગુનો કરતાં પહેલાં 100 વાર વિચારે એવી કડક કાર્યવાહી અમલમાં લાવવી સમયની માંગ છે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top