ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે ચોક્સીની 2,565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે રાખવામાં આવશે, જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે.
અત્યાર સુધીમાં ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણ દ્વારા પીડિતોને 125 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ મિલકતોમાં મુંબઈના સાંતાક્રુઝમાં સ્થિત છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને એક વેરહાઉસનો સમાવેશ થાય છે.
- ભારતમાં જપ્ત કરાયેલી સંપત્તિઓ
- EDએ 2018 માં ચોક્સી અને તેના જૂથની ₹1,217.2 કરોડની 41 મિલકતો જપ્ત કરી હતી. આમાં..
- મુંબઈમાં 15 ફ્લેટ અને 17 ઓફિસ કોમ્પ્લેક્સ
- કોલકાતામાં એક મોલ
- અલીબાગમાં 4 એકરનું ફાર્મ હાઉસ
- તમિલનાડુના નાસિક, નાગપુર, પનવેલ (મહારાષ્ટ્ર) અને વિલુપ્પુરમમાં 231 એકર જમીન
- હૈદરાબાદના રંગા રેડ્ડી જિલ્લામાં 170 એકરનો પાર્ક, જેની કીમત ₹500 કરોડથી વધુ હોવાનો અંદાજ
- મુંબઈના બોરીવલી (પૂર્વ) અને સાન્તાક્રુઝ (પૂર્વ) વિસ્તારોમાં ફ્લેટ
- મુંબઈના સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (SEEPZ) માં બે ફેક્ટરીઓ અને વેરહાઉસ પણ જપ્ત કરવામાં આવ્યા
મેહુલ ચોક્સીની જપ્ત કરાયેલી મિલકતોમાં મલબાર હિલ વિસ્તારમાં એક મિલકત પણ છે જે એક મુખ્ય સ્થાન પર છે. જેને ED દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. તેની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગોકુલ એપાર્ટમેન્ટ મલબાર હિલ, 9મા/10મા માળે, જેમાં મેહુલ ચોક્સીનો ડુપ્લેક્સ ફ્લેટ છે. તેણે 11મા માળે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે.
ફ્લેટના દરવાજા અને દિવાલો પર ED, CBI, અલગ અલગ બેંકો, BMC સોસાયટી અને વીજળી બિલની નોટિસ છે. આ ફ્લેટ લગભગ સાત હજાર ચોરસ ફૂટનો છે અને તેની કિંમત લગભગ 70 કરોડ રૂપિયા છે જે હવે ખંડેર બની ગયો છે. ફ્લેટમાં વૃક્ષો અને છોડ ઉગી નીકળ્યા છે. જેના કારણે સોસાયટીના નીચેના ભાગ અને દિવાલોને નુકસાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી અને તેના ભાણેજ નીરવ મોદી પર 2018 માં PNB ની બ્રેડી હાઉસ શાખામાંથી 13,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે.
