World

ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ, ભારત લાવવામાં આવશે

પંજાબ નેશનલ બેંક (PNB) ના 13,500 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના બહુચર્ચિત કેસમાં આરોપી અને ભારતમાંથી ફરાર હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈની અપીલ પર 11 એપ્રિલ, 2025 (શુક્રવાર) ના રોજ બેલ્જિયમ પોલીસે ૬૫ વર્ષીય ચોક્સીને કસ્ટડીમાં લીધા હતા. ચોક્સી હાલમાં જેલમાં છે અને તેની જામીન અરજી પર સુનાવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ચોક્સી તેની પત્ની સાથે એન્ટવર્પમાં રહેતો હતો
ચોક્સી છેલ્લા કેટલાક સમયથી બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે રહેતો હતો. અહેવાલો અનુસાર, પ્રીતિ પાસે બેલ્જિયમની નાગરિકતા છે, જ્યારે ચોક્સી પાસે ત્યાં ‘એફ રેસીડેન્સી કાર્ડ’ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સારવારના બહાને એન્ટિગુઆથી બેલ્જિયમ આવ્યો હતો. ચોક્સી ભારતમાં પહેલેથી જ વોન્ટેડ હતો અને મુંબઈની એક કોર્ટે તેની વિરુદ્ધ બે ધરપકડ વોરંટ જારી કર્યા છે.

નીરવ મોદી પણ આ કેસમાં સહ-આરોપી છે
મેહુલ ચોક્સીની સાથે, તેનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડનો મુખ્ય આરોપી છે, જે લંડનમાં છુપાયેલો છે. નીરવ સામે પ્રત્યાર્પણની કાર્યવાહી પણ ચાલી રહી છે અને ભારત સરકાર તેને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

મેહુલ ચોક્સી પર 13,500 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ
મેહુલ ચોક્સીએ તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પીએનબી સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. કૌભાંડનો પર્દાફાશ થાય તે પહેલાં જ બંને જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી ગયા હતા. આ પછી, ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લીધી અને ત્યાં રહેવા લાગ્યો. 2021 માં જ્યારે તે કથિત રીતે ક્યુબા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી તેની ડોમિનિકામાં ધરપકડ કરવામાં આવી.

Most Popular

To Top