SURAT

પાકિસ્તાની ખેલાડીએ નેશનલ ટીવી પર સૂર્યકુમાર યાદવને ગાળો આપી

એશિયા કપ 2025 માં ટીમ ઈન્ડિયા સામે મળેલી કારમી હારનો આઘાત પાકિસ્તાન ભૂલી શકયું નથી. પાકિસ્તાનના ખેલાડીઓ એટલા ગુસ્સામાં છે કે તેઓ ભાન ભૂલી રહ્યાં છે. એક પૂર્વ ખેલાડીએ પોતાની ભડાશ કાઢવા હવે ગાળો દેવાનું શરૂ કર્યું છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ યુસુફે એક ટીવી કાર્યક્રમમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.

પાકિસ્તાની ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવથી ગુસ્સે છે કારણ કે 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેચ દરમિયાન સૂર્યાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ટોસ દરમિયાન અને મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓથી અંતર રાખ્યું હતું.

પાકિસ્તાને આ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. પીસીબીએ આઈસીસીને પણ ફરિયાદ કરી. પીસીબીએ આરોપ લગાવ્યો કે ભારતીય ટીમે એન્ડીના કારણે હાથ મિલાવ્યા ન હતા. પરંતુ આઈસીસીએ આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. આઈસીસીએ આ મામલાની તપાસ કર્યા પછી પીસીબીને નિર્ણય વિશે જાણ કરી છે.

પાકિસ્તાને એવી ચીમકી આપી હતી કે જો મેચ રેફરીને દૂર કરવામાં નહીં આવે તો તે બુધવારે (17 સપ્ટેમ્બર) ના રોજ યુએઈ સામેની મેચમાં રમશે નહીં અને એશિયા કપનો બહિષ્કાર કરશે. જોકે, ICC એ ભારત-પાકિસ્તાન મેચના રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાનો ઇનકાર કર્યો છે.

શોએબ અખ્તર પણ દુઃખી
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ‘હાથ મિલાવવાના વિવાદ’ પર નિવેદન આપ્યું હતું. શોએબ અખ્તરે કહ્યું હતું કે આવું ન થવું જોઈતું હતું. ઘરે પણ ઝઘડા થાય છે. ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાથી અખ્તર ખૂબ જ દુઃખી થયા હતા. તેમણે તેને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું.

શું કોચ ગંભીરે ખેલાડીઓને સૂચનાઓ આપી હતી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાથ ન મિલાવવાનો વિચાર ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો હતો. ટેલિકોમ એશિયાના રિપોર્ટ અનુસાર, ગંભીરે કથિત રીતે ભારતીય ખેલાડીઓને વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા કહ્યું હતું. ગંભીરે પાકિસ્તાની ખેલાડીઓ સાથે કોઈપણ પ્રકારની દલીલથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી.

તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા હવે સુપર-4 માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે સુપર-4માં પહોંચવા માટે પાકિસ્તાનને 17 સપ્ટેમ્બરે યુએઈ સામેની મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.

Most Popular

To Top