વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં રસી મુકાવા આવેલા લોકોને ફોગટનો ફેરો પડ્યો હતો. શહેરમાં બુધવારે મમતા દિવસ નિમિત્તે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હોવાની કોઈ જાહેરાત તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા ધંધા,રોજગાર છોડી રસી મુકાવા આવેલા લોકો રસી મુકાવાથી વંચિત રહ્યા હતા. બીજી તરફ મમતા દિવસ હોવાથી કોવિડ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હોવાની કોઈ જાહેરાત નહીં કરાતા વડોદરા શહેરના વિવિધ સેન્ટરો પર વહેલી સવારથી જ લોકોની વેક્સિન મુકાવા માટે લાઈનો લાગી હતી. જોકે આ સમયે જ બુધવારે મમતા દિવસ હોવાથી વેક્સિનની કામગીરી બંધ રહેશેની સૂચનાઓ વેક્સિન સેન્ટર બહાર ચોંટાડાઈ હતી. જેને કારણે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેલા લોકો વેક્સિનથી વંચિત રહેતા હાલાકીનો ભોગ બન્યા હતા.
વડોદરામાં મમતા દિવસને કારણે બંધ રાખવામાં આવેલી વેક્સિન કામગીરીને લઈ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો માથા પર તોળાઈ રહ્યો છે. એવા સંજોગોમાં જ્યારે વેક્સિનેશન શિડયુલ સમયસર થતું નથી. ગયા વખતે પણ મમતા દિવસ ના નામે ચાર દિવસ વેક્સિનેશન બંધ રહ્યું હતું. આજે પણ મમતા દિવસ ના નામે ફરી વેક્સિનેશન બંધ છે. જે પણ નિર્ણય લેવાતા હોય તે બપોર પછી કરવાનું હોય કે બંધ રાખવાનું હોય,આ તમામ વસ્તુઓ આ બાબતે પેપરમાં જાહેરાત આવે તો લોકોને તકલીફ ન પડે. લોકો રજા લઈને પોતાના નોકરી ધંધો છોડીને વેક્સિન લેવા જાય છે.