Charchapatra

કેન્સર જેવા જીવલેણ રોગ સામેની લડત   

તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં પહેલે પાને પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સરકારે લોકસભામાં રજૂ કરેલી માહિતી મુજબ દેશમાં ત્રણ વર્ષમાં કેન્સરના ૪૦ લાખ કેસો નોંધાયા,૨૨.૫૪ લાખનાં મૃત્યુ થયાં. આ સંદર્ભમાં તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિ સીટી પલ્સમાં કેન્સર છે જીવલેણ પણ પોઝિટિવિટી જરૂરી અંતર્ગત સુભાષભાઈ બી. ભટ્ટ કેન્સર સામે જે લડત આપી રહ્યા છે તેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે તે નોંધનીય બાબત કહેવાય. શ્રી સુભાષભાઈ સેન્ટ્રલ બેન્કના નિવૃત્ત કર્મચારી છે. તેમનું મનોબળ એટલું મજબૂત છે કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે તેઓશ્રી જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે આવું મજબૂત મનોબળ કેળવવા માટે કુટુંબીજનોનો સાથસહકાર અત્યંત જરૂરી હોય છે જે તેમને મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘમાં તેઓશ્રી સલાહકાર સમિતિના સભ્ય છે અને એટલે તેમના મનોબળથી  દ. ગુ. ચ. સંઘના  હોદ્દેદારો, કમિટી સભ્યો અને સલાહકાર સમિતિના સભ્યો સારી રીતે વાકેફ છે. તેઓશ્રી ‘ગુજરાતમિત્ર’માં અવારનવાર ચર્ચાપત્ર પણ લખે છે. પોઝિટિવિટી એપ્રોચ દ્વારા કેન્સર જેવી બીમારી સામે પણ ટક્કર લઇ શકાય છે તેનું તેઓશ્રી જીવંત ઉદાહરણ છે. જેઓ તેમના સંપર્કમાં આવે અને તેમાં ખાસ કરીને કોઈ કેન્સરના દર્દી મળી જાય તો કેન્સર જેવી બીમારી સામે હિંમત હાર્યા વગર તેનો સામનો કરવાની અમૂલ્ય સલાહ આપતા રહે છે જે ખરેખર મૂલ્યવાન પુરવાર થાય છે. શ્રી સુભાષભાઈ ભટ્ટ  આ માટે પૂરેપૂરા અભિનંદનના અધિકારી છે. કેન્સર જેવા જીવલેણ રોગ સામે પણ ટક્કર લઇ શકાય તે તેમણે પુરવાર કરી બતાવ્યું છે.
સુરત     -સુરેન્દ્ર દલાલ વ્યાસ  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top