Gujarat

ધો.10નાં 3.50 લાખ વિદ્યાર્થીઓની ફીસ પરત કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજ્યના 3.50 લાખ વિદ્યાર્થીઓની ફી પરત કરવામાં આવશે. આ વર્ષે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી તેઓની ફી પરત (Fee refund) કરવાનો સરકારે (Gujarat Government) નિર્ણય લીધો છે. જોકે સરકારના આ નિર્ણયને કારણે સરકારને કુલ 6.47 કરોડ રુપિયાની ફી પરત કરવી પડશે. બીજી તરફ વાલીઓને ફી પરત મળતા રાહત મળશે. જોકે આ વર્ષે વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શક્યા ન હોવાથી પ્રાઈવેટ સ્કૂલનાં સંચાલકો પાસેથી પણ વાલીઓની અપેક્ષા છે કે તેઓ સંપૂર્ણ અથવા આંશિક ફી માફી આપે. દરમ્યાન ધોરણ 10નાં વિદ્યાર્થીઓની ફીસ પરત કરવાનો સરકારનો આ નિર્ણય પ્રાઈવેટ સ્કૂલ સંચાલકો માટે અનુસરણીય કહી શકાય.

બીજી તરફ માસ પ્રમોશનથી ધો.10ના એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે. બીજી તરફ ધોરણ 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. તેથી નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાયમરી અને હાઈસ્કૂલોમાં વર્ગોની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. નવા વર્ગ વધારા માટે 1લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.

ધો.10માં માસ પ્રમોશન આપવાથી ધોરણ.11માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે 2 હજાર જેટલા વર્ગો અને 3000થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે એવું માનવામાં આવી રહ્યું છે. 6 લાખની વ્યવસ્થાની સામે 9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ તેમને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય એવી પણ પરિસ્થિતિ થશે અને એને કારણે ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય તેવી શક્યતા છે.

કોરોનાને કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા નથી. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ વધુ યોગ્ય રીતે સંપૂર્ણ સમજ સાથે અભ્યાસ કરી શકાયો ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લઈ પહેલાથી જ મુંઝવણમાં મુકાયા હતા. પરંતુ હવે ફક્ત 12માં ધોરણને બાદ કરતા બધા જ વર્ગોમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાતા નવા વર્ગો શરૂ કરવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.

Most Popular

To Top