Gujarat

તાઉતે વાવાઝોડાથી રાજ્યમાં વીજ પુરવઠાને ભારે નુકસાન, આટલા ગામોમાં હજુ અંધારપટ

ગાંધીનગર: (Gandhinagar) તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે રાજ્યના વીજ પુરવઠાની (Electricity Supply) વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા પડી ગયા હતા. તો ક્યાંક સબસ્ટેશનો વીજલાઇનનને મોટું નુકશાન પહોંચ્યું હતું. જેથી રાજ્યના ૯૬૮૫ ગામોમાં અંધારપટ છવાઇ ગયો હતો જે પૈકી આજે બપોરે ૧૨ કલાકની સ્થિતિએ ૫૪૮૯ ગામડાઓમાં (Village) વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. રાજ્યમાં 7604 ફીડરો ઠપ્પ બન્યા હતા. તેમાંથી 3873 ચાલુ કરી દેવામાં આવ્યા છે. હજુ 3731બંધ છે.

ગાંધીનગરમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ તાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા ભાવનગર, અમરેલી, જામનગર, ગીરસોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઉર્જા વિભાગની ટીમ દ્વારા વીજ-પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ ધરાઇ હતી. અમરેલીના ૬૯૯ પૈકી ૧૨૩, ભાવનગરના ૮૪૩ પૈકી ૧૨૩, જૂનાગઢના ૫૪૯ પૈકી ૪૧૨, ગીર સોમનાથમાં ૩૫૭ પૈકી ૧૨૩, બોટાદના ૨૭૭ પૈકી ૧૫૪ અને સુરેન્દ્રનગરના ૯૫૬ પૈકી ૭૦૫ ગામડાઓનો વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદરના તમામ ગામોમાં વીજપુરવઠો પણ શરુ કરી દેવામાં આવ્યો છે.

મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડાથી વીજપુરવઠાને ગંભીર અસર થઇ હતી. આણંદ, ખેડા, મહિસાગર અને વડોદરાના ગામડાઓમાં વીજળી પ્રભાવિત થઇ હતી. આણંદના ૩૩૫ ગામડાઓમાં વીજળી પ્રભાવિત થઇ હતી જે પૈકી ૪૦ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે ખેડાના ૩૦૮ ગામો પૈકી ૮, મહિસાગરના ૯૭ પૈકી ૪૯ અને વડોદરાના ૪૮૮ પૈકી ૩૭૮ ગામડામાં વીજપુરવઠો દૂરસ્ત કરાયો હતો.

ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીનાં ગામોમાં વીજ સમસ્યા સર્જાઇ હતી. અમદાવાદ જિલ્લાના ૫૯૦ પૈકી ૨૯૮, ગાંધીનગરના ૨૨૨ પૈકી ૯૯, અરવલ્લીમાં ૪૮૭ પૈકી ૧૨૯, સાબરકાંઠામાં ૫૧૮ પૈકી ૨૦૨માં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા અને પાટણના તમામ અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુનઃશરૂ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ-સૌરાષ્ટ્રનાં સેંકડો ગામોમાં હજુ અંધારા: થાંભલા-ટ્રાન્સફોર્મરોનો કચ્ચરઘાણ
રાજકોટ: રાજ્યમાં 73651 વિજ થાંભલા જમીનદોસ્ત થયા હતા. તેમાંથી 1028 ઉભા કરાયા છે. હજી 72523 થાંભલા ઉભા કરવાના છે. 41854 ટ્રાન્સફોર્મર કેન્દ્રો ક્ષતિગ્રસ્ત થયા હતા તેમાંથી 33 પૂર્વવત કરાયા છે. હજુ 41821 રીપેરીંગ બાકી છે. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 699માંથી 576 ગામોમાં વિજ પુરવઠો નોર્મલ કરવાનો બાકી છે. ભાવનગરમાં 843 માંથી 710, બોટાદમાં 277 માંથી 123, ગીર સોમનાથમાં 357 માંથી 234, જુનાગઢમાં 549 માંથી 140, કચ્છમાં 183 માંથી 20, રાજકોટમાં 587 માંથી 116, સુરેન્દ્રનગરમાં 950 માંથી 251 ગામોમાં હજુ અંધારા છે.

દક્ષિણ ગુજરાતના 224 ગામોમાં હજુ વીજળી ડુલ, સમારકામ જારી
જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી સૌથી વધુ અસર ભરૂચ, નર્મદા અને સુરતમાં જોવા મળી હતી. ઉર્જા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ૭૮૭ પૈકી ૬૦૯, નર્મદાનાં ૬૪ પૈકી ૪૧ અને સુરતના ૧૩૨ પૈકી ૧૧૬ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યારે વલસાડના ૬ અને નવસારીના એક ગામમાં વીજળી શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Most Popular

To Top