World

રેડ લાઈન ક્રોસ કરશો નહીં, ચીને ઈઝરાયલનું નામ લઈ ચીમકી ઉચ્ચારી

ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈરાન-ઈઝરાયલ અંગે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે. યુએનએસસીની કટોકટીની બેઠકમાં ચીને ઈઝરાયલ સામે સ્પષ્ટ આરોપો લગાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી પ્રતિનિધિ ફુ કોંગે કહ્યું હતું કે ઈઝરાયલના પગલાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. ઈરાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નબળી પાડે છે. ફુ કોંગે કહ્યું હતું કે ચીન સ્પષ્ટપણે આની નિંદા કરે છે.

ફુ કોંગે આ યુદ્ધના ભય પર ભાર મૂક્યો અને ચેતવણી આપી કે જો સંઘર્ષ વધુ વધશે. તો બંને પક્ષોને ભારે નુકસાન થશે જ પરંતુ પ્રાદેશિક દેશોને પણ ગંભીર અસર થશે. જોકે, ચીને એ જણાવ્યું નથી કે પશ્ચિમ એશિયામાં કઈ પ્રાદેશિક શક્તિઓ આ યુદ્ધથી પ્રભાવિત થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગે જણાવ્યું હતું કે ઇઝરાયલ-ઈરાન લશ્કરી સંઘર્ષ આઠમા દિવસમાં પ્રવેશી ગયો છે અને તે જોઈને દુઃખ થાય છે કે આ સંઘર્ષમાં મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ થઈ છે અને બંને બાજુની સુવિધાઓને નુકસાન થયું છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ હુમલામાં ઈરાનના 640 લોકો માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયલ તરફથી મૃત્યુઆંક 40 છે.

ચીન યુદ્ધની શરૂઆતથી જ યુદ્ધવિરામની માંગ કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને 13 જૂને જણાવ્યું હતું કે ચીન ઇઝરાયલના હુમલાઓથી “ખૂબ જ ચિંતિત” છે અને ઇરાનની સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો વિરોધ કરે છે. વિદેશ પ્રધાન વાંગ યીએ ઇઝરાયલના હુમલાઓને અસ્વીકાર્ય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યા અને શાંતિમાં રચનાત્મક ભૂમિકા ભજવવાની ઓફર કરી.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે 17 જૂને કઝાકિસ્તાનમાં કહ્યું હતું કે પ્રાદેશિક અસ્થિરતા વૈશ્વિક શાંતિ માટે ખતરો છે અને તમામ પક્ષોએ યુદ્ધવિરામ માટે કામ કરવું જોઈએ. તેમણે રશિયા સાથે મળીને યુદ્ધને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું. ચીને અમેરિકા પર આગમાં ઘી ઉમેરવાનો આરોપ લગાવ્યો અને પ્રભાવશાળી દેશોને શાંતિની જવાબદારી લેવા કહ્યું.

જોકે, નિષ્ણાતો માને છે કે હાલમાં ચીનની ભૂમિકા મર્યાદિત છે અને તે લશ્કરી સમર્થન ટાળી રહ્યું છે અને તેનું નિવેદન ફક્ત રાજદ્વારી વાણી-વર્તન સુધી મર્યાદિત છે. ફુ કોંગે તાત્કાલિક યુદ્ધવિરામની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ મહત્વપૂર્ણ સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયે સર્વસંમતિ બનાવવી જોઈએ અને તણાવ ઘટાડવા માટે વાતચીતને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.

ફુ કોંગે કહ્યું, આંતરરાષ્ટ્રીય વિવાદોને ઉકેલવા માટે બળનો ઉપયોગ યોગ્ય રસ્તો નથી. તે ફક્ત નફરત અને સંઘર્ષમાં વધારો કરશે. યુદ્ધવિરામ જેટલી વહેલી તકે લાગુ કરવામાં આવશે, તેટલું ઓછું નુકસાન થશે. તેમણે કહ્યું કે પ્રદેશની પરિસ્થિતિને ખાડામાં જવા દેવામાં આવી શકે નહીં. ખાસ કરીને ઇઝરાયલે, પરિસ્થિતિને નિયંત્રણ બહાર ન જાય અને લડાઈના કોઈપણ ફેલાવાને ટાળવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામની ઘોષણા કરવી જોઈએ.

ચીની રાજદ્વારીએ કહ્યું કે સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિક સુરક્ષા માટેની લાલ રેખા કોઈપણ સમયે ઓળંગવી જોઈએ નહીં અને બળનો આડેધડ ઉપયોગ અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે સંઘર્ષમાં સામેલ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું કડક પાલન કરવું જોઈએ, નિર્દોષ નાગરિકોને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ, નાગરિક સુવિધાઓ પર હુમલો કરવાનું ટાળવું જોઈએ અને ત્રીજા દેશના નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવી જોઈએ.

ફુ કોંગના મતે વર્તમાન સંઘર્ષે ઈરાની પરમાણુ મુદ્દા પર વાટાઘાટો પ્રક્રિયામાં વિક્ષેપ પાડ્યો છે. ફુએ કહ્યું કે અનેક ઈરાની પરમાણુ સ્થળો પરના હુમલાઓએ એક ખતરનાક ઉદાહરણ સ્થાપિત કર્યું છે અને તેના ભયંકર પરિણામો આવી શકે છે. આપણે ઈરાની પરમાણુ મુદ્દાના રાજકીય ઉકેલની સામાન્ય દિશામાં ડગમગવું જોઈએ નહીં અને આપણે સંવાદ અને વાટાઘાટો દ્વારા ઈરાની પરમાણુ મુદ્દાને રાજકીય ઉકેલના માર્ગ પર પાછો લાવવા માટે મક્કમ રહેવું જોઈએ.

Most Popular

To Top