Business

પ્રજા પણ અત્યાચારોની તીવ્રતા રાજ્ય અને પાર્ટી મુજબ નક્કી કરે છે?

“તો રાજવીર તમારા મતે “સ્થળ” નક્કી કરશે કે સ્ત્રી કેવા ચારિત્ર્યની છે”. ફિલ્મ પીંકમાં અમિતાભ બચ્ચન આપણા દંભી સમાજ સામે કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. આપણી ન્યાય દૃષ્ટિમાં જે ખામી છે તે માટે તે આકરા સવાલ કરે છે.  આપણે સ્ત્રી માટે કપડાંના આધારે નિર્ણય કરીએ છીએ, એ ક્યા સમયે ફરવા જાય છે તે મુજબ તેની ચાલચલગત નક્કી કરીએ છીએ. તે જો હસી મજાકથી, મિત્રોને અડી અડીને વાતો કરે છે તો આપણે નક્કી કરીએ છીએ કે તે કેવી છે. 

જો કે પુરુષો માટે આવા કોઈ નિયમો નથી. ફિલ્મ પીંકમાં સ્ત્રીના ચારિત્ર્ય વિષે જે વાત થઇ છે તે જ વાત આજે દેશમાં સામાન્ય માણસ પર થતા અત્યાચાર બાબતે થઇ રહી છે. ખાસ કરીને બળાત્કાર જેવા જઘન્ય અપરાધ માટે આપણા દૃષ્ટિકોણમાં તફાવત છે. આમ તો અપરાધ એ અપરાધ છે. એમાંય બળાત્કાર જેવો અપરાધ જે સ્ત્રીના અસ્તિત્વને જ હલબલાવી નાખે છે તે માફીને પાત્ર નથી અને ખૂન, બળાત્કાર જેવા અપરાધમાં રાજકીય પીઠબળ એ આપણા નવા જાહેર જીવનની અતિ ક્રૂર ઘટના છે. ભારતભરમાં રાજકીય વગ ધરાવતા ગુનેગારો સામે કાયદાનું તંત્ર લાચાર છે અને બીજું આપણી ન્યાય પ્રક્રિયાના વિલંબ સામે આપણે લાચાર છીએ.

દેશમાં પશ્ચિમ બંગાળમાં તાલીમી ડોક્ટર સાથે થયેલા અત્યાચાર સામે ભારે આક્રોશ ઊભો થયો હતો અને આખા દેશમાં ડોકટરો સહિત સૌએ વિરોધ, બંધનાં એલાનો વગેરે આપ્યાં હતાં પણ હમણાં એવો જ કિસ્સો દિલ્હીમાં બન્યો ત્યારે સમાચારો સિવાય ક્યાંય ચર્ચા ના થઇ, પણ સાથે સાથે અજમેરમાં સો યુવતીઓ સાથે સામુહિક બળાત્કારના આરોપીઓને બત્રીસ હા, બત્રીસ વર્ષે સજાનો ચુકાદો આવ્યો હતો – એ સમાચારો પણ બહુ ચર્ચાયા ન હતા.

થોડા સમય પહેલાં મહિલા બોક્સિંગ અને કુસ્તીમાં ભાગ લેતી યુવા ખેલાડીઓએ એક રાજકીય નેતા પર ગંભીર આરોપો મૂક્યા હતા અને વ્યાપક આંદોલન ના થયું ત્યાં સુધી પોલીસે ફરિયાદ નોંધવામાં પણ સંજ્ઞાન નોતું લીધું. યુપી બિહારમાં બળાત્કારના આ અગાઉ ઘણા કિસ્સા બન્યા, આક્રોશ કરતાં ટોળાં પર આરોપીએ ગાડી ચડાવી દીધી તે કિસ્સા સરળતાથી ભુલાવી દેવાયા છે અને ગુજરાતના ચકચારી બલાત્કાર કાંડના આરોપીઓને સજામાં માફી આપવાના વિવાદો પર જુના નથી.

અત્યાચારી શાસકોનું એક લક્ષણ એ છે કે તે અત્યાચાર કરે અને તમે એ અત્યાચારો યાદ રાખો તો પણ તેને ના ગમે! એટલે અત્યારે પીંકમાં અમિતાભે પૂછ્યો હતો તે પ્રશ્ન ફરી ઉપસ્થિત થયો છે કે શું અત્યાચારની તીવ્રતા સ્થળ જોઈને, વ્યક્તિ જોઈને નક્કી થશે? પશ્ચિમ બંગાળમાં બલાત્કાર થાય તો તે અત્યંત ધૃણાસ્પદ અને ગુજરાતમાં થાય તો? કોઈ ડોકટર, સચિવ કે ઉચ્ચ મધ્યમ વર્ગની મહિલા સાથે અત્યાચાર થાય તો આખો દેશ વ્યથિત થાય અને બાંધકામ સાઈટ પર કોન્ટ્રાકટરના શોષણનો ભોગ બને એની દેશ નોંધ સુધ્ધાં ના લે. કોંગ્રેસને શીખો પરના અત્યાચારો યાદ કરો તો ના ગમે. ભાજપને ગોધરાકાંડ પછીનાં તોફાનો યાદ કરો તો ના ગમે. ગુજરાતમાં નલિયાસીડી કાંડ બહુ ચગ્યો પછી શું થયું? રાજનેતાઓ તો ફરી જાય પણ સમૂહ માધ્યમો કેમ ચૂપ?

ખરી વાત એ છે કે ભારતમાં ખાનગીકરણ અને ઉદારીકરણ પછી જે સામાજિક, આર્થિક પરિવર્તનો આવ્યાં છે તેને સંપત્તિ અને સેક્સ ( જાતીય જીવન ) વિશેના આપણા ખ્યાલોમાં મોટું પરિવર્તન આણ્યું છે. બન્નેની અમર્યાદિત ભૂખ સત્તાની સાથે ખૂલી છે અને માટે ભ્રષ્ટાચાર અને વ્યભિચારનો વ્યાપ વધ્યો છે. ક્યાંક શોષણ છે, ક્યાંક પરિસ્થિતિનો લાભ છે તો કયાંક બળાત્કાર જેવો સીધો અત્યાચાર છે. મોબાઈલમાં અશ્લીલ વીડિયો અને મિત્રમંડળમાં અશ્લીલ વાતો, ગાળોના આધાર વગર તો આપણા યુવાનો વાત નથી કરતા.

આવા સંજોગોમાં સમાજ હજુ અધર્મી સદીના દંભમાંથી બહાર નથી આવતો એટલે આપણી તમામ ઉંમરની સ્ત્રીઓ અસલામત બની ગઈ છે. સ્કુલથી માંડીને જાહેર જગ્યાઓ સુધીનાં તમામ સ્થળોએ તે એક અજબ નજરનો શિકાર બને છે. આ બળાત્કારો, શોષણ અને અત્યાચારોને રાજકીય રંગ આપીને રોટલા શેકનારા મોટા ગુનેગાર છે. સ્ત્રી પ્રત્યે આદર અને સન્માન હોય તેના પર થતા અત્યાચાર રોકવા સરકારનું નાક દબાવવું હોય તો બધા જ કિસ્સામાં બોલવું પડશે. જેમ પશ્ચિમ બંગાળમાં સ્ત્રી ઉપર અત્યાચાર થયો અને સ્ત્રી મુખ્યમંત્રી જ ચૂપ હતાં તેમ ભાજપ અને કોંગ્રેસમાં રહેલાં મહિલા ધારાસભ્યો, સાંસદો પોતપોતાના રાજ્યમાં ચૂપ રહે છે. પછી તે દિલ્હી હોય કે બિહાર. પછી આમાં ન્યાય ક્યાંય નથી.

આપણે આ કોલમમાં પહેલાં પણ લખ્યું હતું કે આપણે લાગણી કે આક્રોશમાં પણ પરાવલંબી છીએ. કોઈક કહે તો દુ:ખી થઈએ છીએ. કોઈ કહે તો આક્રોશમાં આવીએ છીએ. બંગાળની ઘટના માટે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સરકારી દવાખાનામાં ઓ. પી. ડી. બન્ધ છે? શું ગરીબ દર્દીઓની સારવાર બંધ કરવાથી બંગાળમાં ન્યાય થઇ જવાનો છે? આ અજમેર કેસમાં બત્રીસ વર્ષે ચુકાદો આવ્યો… જરા વિચારો તો ખરા!!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top