Dakshin Gujarat

અસ્તાન રોડ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજની સર્વિસ લેનના માર્જિનમાં આવતી મિલકતોનું ડિમોલીશન

બારડોલી: બારડોલી નગરપાલિકા દ્વારા અસ્તાન રોડ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજની સર્વિસ લેનના માર્જિનમાં આવતી મિલકતોનું સોમવારે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજિત 25 જેટલી મિલકતનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • બારડોલીમાં 25 મિલકતનું ડિમોલિશન
  • અગાઉ ત્રણ નોટિસ આપી દબાણ હટાવવા મુદ્દે સૂચના આપી હતી, છતાં મિલકતધારકોએ નોટિસનું પાલન કર્યું ન હતું

બારડોલીથી અસ્તાન જતાં માર્ગ પર સુરત-ભૂસવાલ રેલવે લાઇનની રેલવે ફાટક નંબર એલસી 25 આવેલી છે. આ રેલવે ફાટક પર હાલ ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. ઓવરબ્રિજના સર્વિસ રોડના માર્જિનમાં કેટલીક મિલકતો નડતરરૂપ હોય તેમજ કેટલાક મિલકતધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાથી નગરપાલિકા દ્વારા તમામ 25 જેટલા મિલકતધારકને લેખિતમાં નોટિસ પાઠવવામાં આવી હતી. અત્યાર સુધી ત્રણ નોટિસ પાઠવી તા.24/6/2024 સુધીમાં મિલકત હટાવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે, કોઈપણ મિલકતધારકોએ આ સૂચનાનું પાલન નહીં કરતાં અંતે પાલિકા દ્વારા સોમવારના રોજ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બારડોલી ચીફ ઓફિસર મિલન પલસાણા, ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેમની ટીમ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મોટા ભાગે ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં આવતા ઘર અને દુકાનની બહાર શેડ દૂર કરવામાં આવ્યા હતા. તો કેટલાંક મકાનો અને દુકાનો પણ માર્જિનમાં આવતા હોય તેને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિકો પૈકી મોટા ભાગના લોકોએ સહકાર આપ્યો હતો. તો કેટલાકે તેમની દુકાનો અને મકાનમાંથી સામાન હટાવવા માટે સમય માંગ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતનો સમય આપવામાં આવ્યો ન હતો.

મિલકતધારકોએ વાંધો ઉઠાવ્યો
રોડ કુલ 24 મીટર ખુલ્લો કરવાનો છે અને તે માટે નગરપાલિકા દ્વારા ગત ડિસેમ્બર માસમાં માર્કિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મિલકતધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં 6 મીટર માર્જિન છોડવાનો ઉલ્લેખ હોય મિલકતધારકો માત્ર 6 મીટર જગ્યા છોડવાનું સમજ્યા હતા. જેને કારણે તેઓએ ત્રણ ત્રણ નોટિસ છતાં કોઈ વાંધા અરજી રજૂ કરી ન હતી કે આ બાબતે નગરપાલિકામાં મળવા પણ ગયા ન હતા. સોમવારે જ્યારે ડિમોલિશન શરૂ કરાયું અને જ્યાં માર્કિંગ હતું ત્યાંથી તોડવાની શરૂઆત કરતાં મિલકતધારકોએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે, નગરપાલિકાએ આ મામલે કોઈ દબાણમાં આવ્યા વગર મિલકતો દૂર કરવાનું ચાલુ રાખ્યું હતું.

નોટિસ ઇશ્યુ કરી પણ વાંધા રજૂ કર્યા ન હતા: સીઓ
બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર મિલન પલસાણાએ જણાવ્યું હતું કે, અસ્તાન રેલવે ફાટક પર બની રહેલા એલસી 25 રેલવે ઓવરબ્રિજના સર્વિસલેન માટે સરકારની સૂચનાથી ટાઉન પ્લાનિંગના ફાઇનલ પ્લોટ પર દબાણ કરનારને નોટિસ આપવામાં આવી હતી. ત્રણ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી, તેમ છતાં તેમના દ્વારા કોઈ વાંધા રજૂ કરવામાં ન આવતાં આજે સરકારની સૂચના મુજબ 25 જેટલી મિલકતનું દબાણ હટાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top