World

શપથ ગ્રહણમાં ભાગ લેનારા આ 7 દેશોના વડાઓ સાથે PM મોદી કરશે દ્વિપક્ષીય વાતચીત

નવી દિલ્હી: રવિવારે નરેન્દ્ર મોદીના PM તરીકેના ત્રીજા કાર્યકાળ માટે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શનિવારે 8 જૂનના રોજ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ અફીફ નવી દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ, ભૂટાનના પીએમ શેરિંગ તોગબે રવિવારે ભારત આવશે.

નરેન્દ્ર મોદીના પીએમ પદના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકાર દ્વારા પડોશી અને હિંદ મહાસાગરમાં સ્થિત ત્રણ નજીકના દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહ બાદ સાતેય દેશોના વડાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય વાતચીત કરશે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે પીએમ મોદીની મુલાકાત રવિવારે મોડી રાત્રે નક્કી કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી 09 જૂન, 2024 ના રોજ સાંજે 7.15 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે. શેખ હસીના એકમાત્ર વિદેશી મહેમાન છે જેમને પીએમ મોદીના ત્રણેય શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ વખતે તેની સફર ઘણી ખાસ છે. કારણ એ છે કે પીએમ હસીના જુલાઈ 2024માં ચીનના પ્રવાસે જવાના છે. ઢાકામાં ચીનના રાજદૂતે આ મુલાકાતને ઐતિહાસિક અને ગેમ ચેન્જર ગણાવી છે.

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન શેખ હસીના અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાના છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ તરફથી જ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે હસીનાના બેઈજિંગ પ્રવાસ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આમાં એક મુદ્દો ચીન દ્વારા તિસ્તા નદીને સાફ કરવાની પ્રસ્તાવિત યોજનાનો છે. આ સંદર્ભમાં ભારત અને બાંગ્લાદેશના પીએમ વચ્ચેની બેઠક મહત્વપૂર્ણ રહેશે.

શપથ ગ્રહણ સમારોહમાં સામેલ અન્ય મહેમાન મુઇઝુ સાથે પીએમ મોદીની મુલાકાત પર પણ દરેકની નજર રહેશે. પોતાના ભારત વિરોધી વિચારો માટે જાણીતા મુઈઝુએ કહ્યું છે કે ભારતીય પીએમના શપથ ગ્રહણમાં ભાગ લેવો તેમના માટે સન્માનની વાત છે અને તે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. ભારતીય રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે મુઈઝુએ ડિસેમ્બર 2023માં ભારતની મુલાકાત લીધી હતી અને ત્યારથી તેમનું વલણ નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે. ભારતે તેમની કેટલીક દરખાસ્તો પણ સ્વીકારી છે જેમાં ભારતીય નિર્મિત એક કેન્દ્રમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા બોલાવી લેવાનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ માલદીવની પરંપરા તોડી છે જેમાં રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશ યાત્રા ભારતની છે. તેમણે તુર્કી અને ચીનનો પ્રવાસ કર્યો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મુઇઝુ રવિવારે સવારે નવી દિલ્હી પહોંચશે. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય પીએમ મોદીએ તેમના અગાઉના શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયાના પડોશી દેશોને આમંત્રણ આપ્યું હતું જે સરકારની નેબરહૂડ ફર્સ્ટની નિતીને દર્શાવે છે.

Most Popular

To Top