કોરોનાની ત્રીજી લહેર ઝડપી બની રહી છે, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14 લાખને પાર

નવી દિલ્હી: દેશમાં કોરોનાની (corona) ત્રીજી લહેર (third wave) ખૂબ ઝડપથી વધી રહી છે. દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active case) આંકડો 14 લાખને પાર પહોંચ્યો છે. હાલ દેશમાં 14.10 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 67 હજાર 331 કોરોનાના નવા કેસ મળ્યા હતા. જેમાંથી 1 લાખ 22 હજાર 311 લોકો સાજા થયા છે તેમજ 398 લોકોનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 44 હજાર 662નો વધારો નોંધાયો હતો. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)ના કુલ 6,041 કેસ નોંધાયા છે. નવા વેરિઅન્ટનો વિકાસ દર પાંચ ટકાની આસપાસ નોંધાયો છે.

દેશમાં નવા સંક્રમિતોની સંખ્યામાં માત્ર 3 હજારનો વધારો થયો છે. દેશમાં કુલ 3.68 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.49 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 85 હજાર 748 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 3 દિવસની સ્થિતિ પર નજર કરીએ તો 12 જાન્યુઆરીએ કોરોનાના 2 લાખ 47 હજાર 717 દર્દી નોંધાય હતા. 11 જાન્યુઆરીના રોજ નવા 1 લાખ 94 હજાર 720 દર્દી મળી આવ્યા હતા, એટલે કે દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી આગળ વધી રહી છે. કોરોનાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર એની પીક પર પહોંચી જશે. જ્યારે દરરોજ 4-8 લાખ કોરોનાના કેસ નોંધાશે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા 43,211ને પાર
દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાય રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઝડપી રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરાવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,211 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ ગુરુવારની સરખામણીમાં આ કેસ 3,195 ઓછા નોંધાયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 19 લોકોનાં મોત થયાં છે. તેમજ ઓમિક્રોનના 238 નવા કેસ મળી આવ્યા છે.

ટેસ્ટિંગ ને રસીકરણ પર ભાર
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. આ સાથે રસીકરણ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં રસીના 156.02 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ ગઈકાલે દેશમાં 16 લાખથી વધુ લોકોનું ટેસ્ટિગં કરવામાં આવ્યુ હતું.

ઓડિશામાં મોલનુપિરાવિર દવા પર પ્રતિબંધ
કોરોનાની સારવાર માટે ઉપયોગી લેવાતી દવા મોલનુપિરાવિરનાં (Molnupiravir) વેચાણ અને ઉપયોગ પર ઓડિશા સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્ર સરાકરે આ દવા માટે રાજ્યોને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ઓડિશા સરકારના રેગ્યુલેટરે કહ્યું હતું કે જ્યાં સુધી એ સંપૂર્ણ રીતે સાબિત ન થાય કે દવા સંપૂર્ણપણે સલામત છે ત્યાં સુધી એનાં ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના કહેવા પ્રમાણે કોઈ પણ નવી દવાની સલામતી-અસરકારકતાની ચકાસણી કરવી અને દવાના ઉપયોગ કરવાની મંજૂરી આપવીએ કેન્દ્રનું કામ છે. ઓડિશા સરકારની એક ટેક્નિકલ સમિતિએ આ દવા પર પ્રતિબંધની ભલામણ કરી હતી, ત્યાર બાદ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Most Popular

To Top