SURAT

PMના કાર્યક્રમ માટે ટોલમાં એક દિવસની રાહત મામલે સુરતમાં વિવાદ, PMO સુધી ફરિયાદ

આગામી 7મી માર્ચે સુરત-નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યાં છે ત્યારે એક દિવસ માટે ટોલમાં મુક્તિ આપવાની હિલચાલ સામે વિરોધ ઉભો થયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 24 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે આપવામાં આવેલા એક દિવસના ટોલ રાહતના આદેશ બાબતે પ્રધાનમંત્રી કાર્યાલય સહીત સબંધિત વિભાગોમાં રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ દર્શન નાયકે કહ્યું કે, દેશનો કાયદો બધા માટે સમાન છે. પ્રધાનમંત્રી સહિત ભારતમાં નાગરિકોને સમાન અધિકારો છે. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપવામાં આવેલા એક દિવસના ટોલ રાહત અંગેનો આદેશ અતિરેકપૂર્ણ હકૂમત ક્ષેત્ર બહારનો છે. કારણ કે નેશનલ હાઈવેનો કાયદો અને ટોલ વસૂલાતની અન્ય કોઈપણ જોગવાઈઓ જિલ્લા કલેક્ટર/રાજ્ય સરકારને ટોલ સંબંધિત બાબતો માટે આદેશ/મુક્તિ આપવાનો કોઈ અધિકાર આપતી નથી જે કેન્દ્રીય વિષય છે અને રાજ્યનો વિષય નથી.

જો આ આદેશ જે કોઈપણ નિયમો કે નિયમનોનો ઉલ્લેખ કરતો નથી અને તેનો કોઈ આધાર નથી તો ભારતમાં ભવિષ્યના તમામ PM કાર્ય/કાર્યક્રમોમાં સમાન અસર થશે અને દરેક રાજ્ય સરકારે PM કાર્ય માટે ટોલ છૂટ આપવાની આ પદ્ધતિનું પાલન કરવું પડશે.

જો આ આદેશ લાગુ કરવામાં આવે તો દરેક કેન્દ્રીય મંત્રી તેમના પ્રોગ્રામ માટે ટોલ મુક્તિ માંગશે અને રાજ્યના દરેક મુખ્યમંત્રી તેમના કાર્ય માટે આ માંગ કરશે અને રાજકારણીઓની દખલગીરીને કારણે ટોલ સિસ્ટમ પડી ભાંગશે.

નાયકે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીને સુરત જિલ્લા વહીવટીતંત્ર/GoG દ્વારા લેવામાં આવેલા આવા નિર્ણયની જાણ નહીં હોય એવું બની શકે. તેથી અમે પ્રધાનમંત્રી કાર્યાલયને વિનંતી કરી છે કે આ બાબતમાં તપાસ કરવામાં આવે. NH કાયદાના નિયમો અને જોગવાઈઓ અને ટોલની સૂચનાનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. MORTH/NHAI એ પણ પ્રવર્તમાન ધોરણો અને નિયમો અનુસાર આ બાબતમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.

Most Popular

To Top