પ્રયાગરાજઃ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના જુના અખાડામાં સન્યાસીની બનવા માટે જોડાનાર 13 વર્ષની સગીર છોકરીને નિયમોની વિરુદ્ધ માનીને અખાડામાંથી કાઢી મૂકવામાં આવી છે. આ ઉપરાંત છોકરીને દીક્ષા આપનાર તેના ગુરુ મહંત કૌશલ ગિરીને પણ અખાડામાંથી સાત વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે.
શનિવારે માહિતી આપતાં જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રી મહંત નારાયણ ગિરીએ જણાવ્યું હતું કે અખાડાના નિયમો અનુસાર 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને પ્રવેશ આપી શકાતો નથી. શુક્રવારે મળેલી અખાડાની સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે સગીર છોકરીને અખાડામાં અપાયેલો પ્રવેશ રદ કરવામાં આવશે અને મહંત કૌશલ ગિરી મહારાજને સાત વર્ષ માટે હાંકી કાઢવામાં આવશે.
સભામાં સંતોની નારાજગી શુક્રવારે જુના અખાડાના આશ્રયદાતા મહંત હરિ ગીરી, પ્રમુખ શ્રી મહંત પ્રેમ ગીરી અને અન્ય વરિષ્ઠ સંતોએ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન સંતોએ અખાડાને જાણ કર્યા વિના સગીર છોકરીને દીક્ષા આપનાર મહંત કૌશલ ગિરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અખાડામાં સામેલ થવાની ઉંમર શું?
નારાયણ ગિરીએ કહ્યું કે સગીર છોકરીને સંપૂર્ણ સન્માન સાથે તેના માતાપિતાને સોંપવામાં આવી છે. જુના અખાડાના નિયમો અનુસાર અખાડામાં 25 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને જ સામેલ કરી શકાય છે. જો કે, જો માતા-પિતા સગીર છોકરાને અખાડામાં સમર્પિત કરે છે. તો તેને નિયમો અનુસાર અખાડામાં સામેલ કરી શકાય છે.

સગીરાની માતાએ શું કહ્યું…
બાળકીની માતા રીમા સિંહે જણાવ્યું કે મહંત કૌશલ ગિરી મહારાજ છેલ્લાં ત્રણ વર્ષથી તેમના ગામમાં ભાગવત કથા સંભળાવવા આવતા હતા. ત્યાં તેમની 13 વર્ષની પુત્રી રેખા સિંહ (હવે ગૌરી ગિરી)એ ગુરુજી પાસેથી દીક્ષા લીધી. તેમણે કહ્યું કે તેમની પુત્રીએ સાંસારિક જોડાણો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી અને સાધ્વી બનવાની વાત કરી.
આને ભગવાનની ઈચ્છા માનીને તેણે તેની પુત્રીને જુના અખાડાને સોંપી દીધી. મહંત કૌશલ ગિરીએ રેખાને દીક્ષા આપી અને તેમનું નવું નામ ‘ગૌરી ગિરી’ આપ્યું. હવે આ સમગ્ર મામલે અખાડાએ કડક વલણ અપનાવ્યું છે અને મહંત અને સગીર યુવતી બંનેને હાંકી કાઢ્યા છે.