Gujarat

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને લૂંટ સામે નવા વર્ષથી કોંગ્રેસ ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ યોજશે

ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ૧૦૯૦ જિલ્લા પંચાયત અને ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર “જન સંવાદ” કાર્યક્રમના માધ્યમથી જનતા સાથે સીધો સંવાદ

“કોંગ્રેસ આપને દ્વાર-જનતાનો મેનીફેસ્ટો” કાર્યક્રમ દ્વારા ૧૭ મહાનગરોના તમામ વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા ઘેર-ઘેર જઈને સુચનો અને અભિપ્રાયો મેળવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રજાલક્ષી “જનતાનો મેનીફેસ્ટો” તૈયાર કરાશે

અમદાવાદ, તા. 31

ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા માટે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ અને ‘ગો ટુ ધ પીપલ’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો અને તેમાં સમાવિષ્ટ ૫૨૦૦ તાલુકા પંચાયત બેઠકો પર કોંગ્રેસ સીધો ‘જનસંવાદ’ સ્થાપિત કરશે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ સ્તરે સિસ્ટમની ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરી આંદોલનાત્મક લડાઈ લડવામાં આવશે, તેવું પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતુ કે આગામી ૨૦૨૬ના વર્ષ માટે સંગઠનાત્મક આયોજન અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ‘મહા જનસંપર્ક અભિયાન’ની જાહેરાત કરવામાં આવી છે. શહેરી સ્તરે કોંગ્રેસે ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યના ૧૭ મહાનગરોમાં કોંગ્રેસનો કાર્યકર દરેક ઘર સુધી પહોંચશે. રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસ એસી ઓફિસમાં બેસીને નહીં પરંતુ શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરશે. આ ઉપરાંત, શહેરોમાં જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે વોર્ડ વાઈઝ ‘જનાક્રોશ પદયાત્રા’ યોજી પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારાઓને ખુલ્લા પાડવામાં આવશે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન મુઠ્ઠીભર લોકોના હિત માટે નહીં, પરંતુ ગુજરાતના બહોળા જનસમૂહના હક અને અધિકાર માટે છે.

જન આક્રોશ પદયાત્રા શહેરી વિસ્તાર – વોર્ડ દીઠ તમામ મહાનગરોમાં જે લોકોની રજૂઆત સરકારી કચેરીઓમાં સાંભળવામાં નથી આવતી, રાજકીય પક્ષાપક્ષીથી દુર તેમને પ્રશ્નો રજૂ કરવા માટે મંચ આપવામાં આવશે. જનમંચ પરથી ઉજાગર થયેલા ભ્રષ્ટાચાર અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે લોકોની સાથે મળીને પદયાત્રા કરવામાં આવશે.

Most Popular

To Top