Gujarat

રાજ્યમાં 22 નગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ, ખાતું પણ ખોલાવી શકી નહીં

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે 22 નગરપાલિકા તો એવી છે કે, જેમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાંથી 62માં ભાજપનો વિજય થયો છે. જ્યારે એક નગરપાલિકા કોંગ્રેસ જીતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની મજબૂત પકડ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસનો ભારે પરાજય થયો છે.

68 નગરપાલિકાની ચૂંટણીમાં 22 નગરપાલિકામાં કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શક્યું નથી, જ્યારે કેટલીક નગરપાલિકાઓમાં માત્ર એક બેઠક મેળવીને કોંગ્રેસને સંતોષ માનવો પડ્યો છે. આમ વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળ્યો છે.

અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસના ઉમેદવારો વેચાયા નહીં, કે ડર્યા નહીં
અમદાવાદ: લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડ્યા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુરુઉપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાના, ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે આપણે સહુએ જોયા છે. નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતુ કે કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપની અનેક બિનલોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં ખૂબ સારી રીતે આ ચૂંટણી લડ્યા તે પ્રશંસનીય છે.

અમે સ્વીકાર કરીએ છીએ કે, ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અમારું સંગઠન નબળું હતું. આજે જે યોજાઈ તે નગરપાલિકાઓની ચૂંટણીઓ ૨૦૧૮માં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ૭૮ ધારાસભ્યો અને સાથી પક્ષના ૩ એમ મળીને ૮૧ ધારાસભ્યો હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છીએ એ જ નગરપાલિકાઓમાં ૨૦૧૮માં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ખૂબ ખરાબ હતી. જૂનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર ચૂંટાયા હતા, આ વખતે જૂનાગઢમાં ૧૧ કોર્પોરેટર ચૂંટાયા છે. એ પરિપ્રેક્ષ્યમાં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક જગ્યાઓ પર કોંગ્રેસ માટે નિરાશાજનક છે, નગરપાલિકાઓ સ્થાનિક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે. અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે જે તે નગર પાલિકાઓમાં નુકસાન થયું. કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે નહીં લડી અપક્ષ સાથે ગયા હતા.

આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત પેનલનો વિજય થયો છે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છે, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ વધુ મહેનત કરવાની જરૂર છે. AIMIM પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભાજપે આપ્યા હતા, સમાન્ય સંજોગોમાં આમને સામને જોવા મળતા AAP-ભાજપ સાથે હતા, AIMIM ઉમેદવારોના ક ફોર્મ રજૂ થયા ના હતા, પણ ભાજપે માન્ય રખાવ્યા. કોંગ્રેસની રહી ગયેલી ખામીઓ માટે પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી સ્વીકારું છું, કોંગ્રેસ કાર્યકરોએ બુથ પેજ સુધી જવાની મહેનત કરવાની છે, કોગ્રેસના કાર્યકર્તા અનેક મોરચે લડ્યા છે, 2027 માટેની તૈયારીઓ સાથે આગામી વર્ષે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરીશું.

Most Popular

To Top