National

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 કરોડને પાર, ટ્રાફિક જામ મામલે યોગીએ ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા

પ્રયાગરાજ અને તેની આસપાસના જિલ્લાઓમાં ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીના તમામ ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા છે. મુખ્યમંત્રી યોગીએ ખાસ કરીને પ્રયાગરાજ ઝોનના એડીજી ભાનુ ભાસ્કર અને એડીજી ટ્રાફિક સત્યનારાયણ પર નિશાન સાધ્યું હતું.

મુખ્યમંત્રીએ આ બંને અધિકારીઓને ઠપકો આપતા કહ્યું કે સમગ્ર પ્રયાગરાજની જવાબદારી તમારા લોકો પર છે પરંતુ ભાગદોડનો દિવસ હોય કે સામાન્ય દિવસોમાં ટ્રાફિકની ગંભીર અવ્યવસ્થા હોય તમે લોકોએ બેજવાબદારીપૂર્વક કામ કર્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મેળાના મુખ્ય સ્નાન સમારોહ દરમિયાન જે રીતે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પરથી ગેરહાજર રહ્યા હતા તે જોતાં ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જરૂરી છે.

હકીકતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે પ્રયાગરાજ તરફ જતા દરેક હાઇવે પર વાહનોની કતારો જોવા મળી રહી છે. રસ્તાઓ પર ઘણી જગ્યાએ ટ્રાફિક જામ હતો અને તે પણ ઘણા કલાકો સુધી. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને આ બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા.

તેનું પરિણામ એ છે કે આજે ટ્રાફિક વ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ઘણા સિનિયર અધિકારીઓને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. સોમવારે એસટીએફના વડા અમિતાભ યશ પોતે પણ કુંભ નગરી પહોંચ્યા હતા. હાલમાં દરેક જિલ્લાના અધિકારીઓ સક્રિય થઈ ગયા છે. ડીએમ-એસપી રસ્તા પર ઉતરી આવ્યા છે. હાઇવે હોય કે જાહેર રસ્તો બધા પર સરળતાથી ટ્રાફિક થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મહાકુંભમાં ભક્તોની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ
મહાકુંભમાં ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર સંતો, ભક્તો, કલ્પવાસીઓ, સ્નાન કરનારાઓ અને ગૃહસ્થોનું સ્નાન હવે ચરમસીમાએ પહોંચી ગયું છે, જેની આશા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ પહેલા પણ રાખી હતી. સીએમ યોગીએ પહેલાથી જ આગાહી કરી હતી કે આ વખતે આયોજિત થઈ રહેલો ભવ્ય અને દિવ્ય મહાકુંભ સ્નાન કરનારાઓની સંખ્યામાં એક નવો રેકોર્ડ બનાવશે. શરૂઆતમાં જ તેમણે 45 કરોડ ભક્તોના આગમનની આગાહી કરી હતી.

મહાકુંભની સમાપ્તિના 15 દિવસ પહેલા તેમનું મૂલ્યાંકન સાચું સાબિત થયું. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં મહાકુંભમાં સ્નાન કરનારાઓની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં લગભગ 50 લાખ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી જેની સાથે મહાકુંભમાં સ્નાન કરનારાઓની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ. મહાકુંભમાં 15 દિવસ અને બે મહત્વપૂર્ણ સ્નાન ઉત્સવો બાકી છે અને એવી અપેક્ષા છે કે સ્નાન કરનારાઓની સંખ્યા ૫૦-૫૫ કરોડથી વધુ થઈ શકે છે.

Most Popular

To Top