અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલએ હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. મેમનગર સ્થિત માનવમંદિર ખાતે આ વર્ષે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો અને હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હોળીનું પવિત્ર પર્વ અસત્ય પર સત્યના વિજયનું અને રંગોનું પર્વ છે. આ તહેવાર સમાજમાં રાગ-દ્વેષ ભૂલી પરસ્પર સ્નેહ, એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે.
તેમણે કહ્યું હતું કે રંગોત્સવની ઉજવણી એવી રીતે કરવી જોઈએ કે પર્યાવરણનું જતન પણ થાય. વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ પ્રત્યે દર્શાવાયેલ જાગૃતિ પ્રશંસનીય હોવાનું તેમણે જણાવ્યું હતું.