Madhya Gujarat

દાહોદમાં સર્કલ-ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા જ છે

દાહોદ: સ્માર્ટ સીટી તરફ પા પા પગલી કરતાં દાહોદમાં સિગ્રનલો ઉતાવળે લગાવી દેવાયા ? સર્કલો બાંધવા દાતા બનેલી સંસ્થાઓના કારભારીઓએ પણ તેની અમલવારી વિશે તંત્રને પૂછવુ શહેરના હિતમાં છે. દાહોદ શહેરમાં લગાવેલા ટ્રાફિક સિગ્નલ અને સર્કલ માત્ર દેખાવના જ થઇ રહ્યા, કોઇ અમલવારી કરાવાતી નથી

દાહોદ શહેરમાં કેટલાયે સમયથી ટ્રાફિક સિગ્નલ લગાવેલા છે પરંતુ પોલીસને સપનુ આવે ત્યારે તેનો અમલ કરાય છે અને ફરી પાછુ જૈસે થે થઇ જાય છે.શહેરમાં કેટલાય ઠેકાણે સર્કલ બનાવેલા છે પરંતુ તેનો કોઇ અમલ કરાતો નથી.જેથી સ્માર્ટ સીટી બનવાની કેડી પર પા પા પગલી માંડતા દાહોદ શહેરમાં આવા સર્કલ અને ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા જ છે.

શહેરના કેટલાક સકારાત્મક બુધ્ધિજીવીઓ સ્માર્ટ સીટીમાં દાહોદે મેળવેલા 41 ક્રમાંકને કેન્દ્ર સ્થાને રાખીને શહેરીજનોને આશ્વસ્થ કરી રહ્યા છે કે દાહોદનો ભલે 41મો નંબર છે પરંતુ તે 59 શહેરો કરતાં તો આગળ છે.સાથે કારણ પણ આપવામાં આવે છે કે દાહોદનો સ્માર્ટ સીટીના ત્રીજા રાઉન્ડમાં સમાવેશ કરાયો હતો.ત્યારે આ વાત ફક્ત સ્માર્ટ સીટીના પરિપેક્ષમાં માની લેવામાં કોઇ વાંધો હાલ જણાતો નથી પરંતુ પાલિકાને આધીન સમસ્યાઓ મામલે પણ શહેરનું મુલ્યાંકન કરવુ જરુરી છે.કારણ કે શહેરમાં સમસ્ચાઓની ભરમાર હોવા છતાં કોઇ નક્કર નિવારણ કરાતુ નથી.માત્ર પાલિકા જ નહી પરંતુ પોલીસ તંત્ર પણ વર્ષોથી તેની સ્માર્ટનેસ પ્રમાણે જ કાર્યરત છે.

તેને કારણે જ શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરેલી છે.કેટલાક સમય પહેલા શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા ત્યારે મોટા ભાગે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા શહેરીજનોને થયુ હતુ કે હવે તો સિગ્નલ પ્રમાણે જ વાહનો ચલાવવા પડશે પરંતુ તેવુ થઇ શક્યુ નથી. કોઇ કારણોસર આ સિગ્નલ કાર્યરત કરાયા નથી. ક્યારેક ક્યારેક પોલીસ વિભાગને ઇચ્છા થાય અથવા તો પ્રાયોગિક ધોરણે ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં આવે છે ત્યારે વાહન ચાલકોને પણ આશ્ચર્ય થાય છે કે કોઇ નેતાનો કાર્યક્રમ તો નથી ને આજે? બીજી તરફ શહેરમાં વિવિધ જગ્યાએ સર્કલ બનાવેલા છે પરંતુ તેમાં કેટલાક સર્કલને ટ્રાફિકના નિયમો અને તેના સ્થળ પ્રમાણે પુનઃ નિર્મિત કરવા પડે તેમ છે.જો કે શહેરમાં કોઇ પણ વાહન ચાલક સર્કલના નિયમોનું પાલન કરતો જ નથી કે પોોલીસ દ્રારા તેનું કોઇ પાલન કરાવાતુ જ નથી.

તેને કારણે પણ ભગિની સમાજ, માણેક ચોક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ જાય છે.ત્યારે આવો ખર્ચ કેમ કરવામાં આવ્યો હશે તે પ્રશ્ન પણ ઉભો થાય છે.કેટલાક સર્કલો તો શહેરની સંસ્થાઓ દ્રારા બનાવાયા હતા ત્યારે આવી સંસ્થાઓના કારભારીઓ પણ તંત્રને પૂછતા નથી કે સંસ્થાએ શહેરના હિતમાં કરેલી વ્યવસ્થા દ્રારા કોઇ અમલીકરણ કેમ કરવામાં આવતુ નથી.

Most Popular

To Top