સુરતમાં આરોગ્ય કમિશનરની મુલાકાતના દિવસે જ નવજાત બાળકની ચોરી થઈ ગઈ હતી. જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નવજાત બાળકને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. આખરે 16 કલાકની જહેમત બાદ બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી હેમખેમ મળી આવ્યું હતું. સાથે જ બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે શુક્રવારે તા. 22 માર્ચની રાત્રે 9 વાગ્યાની આસપાસ રાધા રાજુ જા નામની 32 વર્ષની મહિલાએ બાળકની ચોરી કરી હતી. બાળકને શાંત કરવાના નામે મહિલા બાળકને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. બાળક નવજાત હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ બાળકના અપહરણને લઈને સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલો ઉભા થયા હતાં.
સંધ્યા ધીરજ શુક્લાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેણીને દાખલ કરવામાં આવી હતી. બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.ત્યારબાદ કાચની પેટીમાં મૂકવાનું હતું.
રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકવીને રાધા રાજુ જા નામની મહિલા બાળકને લઈને પલાયન થઈ હતી. જેથી પોલીસ-પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે મહિલાના ઘરે જઈને બાળકનો કબ્જો લેવાની સાથે પતિ પત્નીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી થયાની માહિતી મળતાં જ અલગ અલગ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. જેમાં એક આધારકાર્ડ મળ્યું હતું. જેના આધારે એક લોકેશન મળ્યું હતું. જેમાં તપાસ કરતાં એક મહિલા મળી હતી. જેને 4 સંતાનો છે. એક દીકરો અને 3 દીકરી છે. તેણીને પાંચમી પ્રસૂતિ વખતે મૃત બાળક જન્મ્યું હતું. પતિ ચોર ચોર કહેતો હોવાથી બાળકને ચોર્યું હોવાનું તેણીએ સ્વીકાર્યું હતું. તેઓ મૂળ બિહારના વતની છે.
