Charchapatra

અતીતની યાદોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાય?

એક સમજશક્તિ માટે કહેવાય છે કે, ભૂતકાળ ભૂલવા માટે હોય, ભવિષ્ય નિહાળવા માટે હોય અને વર્તમાન માણવા માટે હોય. પરંતુ માનવી સંપૂર્ણપણે અતીતમાંથી મુક્ત નથી જ થઈ શકતો. શૈશવના સંસ્મરણો, યૌવનનો પ્રથમ પ્રેમ કે સહજીવનનો પ્રથમ દિન, ઉદર્વગામી કારકિર્દી, પ્રથમ સંતાન પ્રાપ્તિ જેવી અનેક સોનેરી યાદ મનોજગત પર સદાને માટે છવાયેલી રહે છે. એ જ પ્રમાણે ભૂતકાળમાં થયેલા અન્યાય, વગર વાંકે મળેલો દંડ, સ્વયં કાબેલિયત ધરાવતા હોવા છતાં રોળાઈ ગયેલું સ્વપ્ન, સ્વજનો દ્વારા મળેલો દગો ફટકો, પરિવારજોની ઉપેક્ષા, ક્યારેક જીવનસાથી તરફથી ન મળેલો સહકાર, અયોગ્ય મૌન વિ. અનેક કડવી યાદો મનોવિશ્વમાંથી વિદાય નથી લેતી!

લાખ ભૂલવાના પ્રયત્નો કરવા છતાં એ યાદો પણ પ્રાપ્ત થાય છે. સૌ સાથે ભૂતકાળની કડવી-મીઠી યાદો તો હોય જ છે અને એ યાદો ને સહારે જ માનવી જીવન વ્યતીત કરતો રહે છે અને સ્વયં દ્વારા થયેલી ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ તો અવશ્ય લેવાવો જોઈએ. અમુક ભૂલ અક્ષમ્ય હોય શકે. જે અન્યને હાનિકર્તા નિવડી હોય પણ એ ભૂલ ફરીથી ન દોહરાય એનું ધ્યાન પણ રાખવું જરૂરી. ક્યારેક ભૂલ પગથિયા બની શકે પણ અન્ય વ્યક્તિના માન-સ્વમાનના ભોગે તો નહીં જ. અતીત સ્મરણીય પણ હોય અને વિસ્મરણીય પણ બનાવી શકાય. બધો આધાર ક્ષમાશીલતા પર હોઈ શકે.
રાંદેર રોડ, સુરત   – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top