Vadodara

તારા પિયરમાંથી 50 લાખ રૂપિયા લઈને આવજે, નહીં લાવે તો સળગાવીને જમીનમાં દાટી દઈશ, સાસુની ધમકી

વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં પાયલટ પતિ દિવસ-રાત શારીરિક સંબંધ બાંધવા માટે પરિણીતાને દબાણ કરતા હતા અને પરિણીતા સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. તેમજ સાસુ પિયરમાંથી 50 લાખ રૂપિયા લઇને આવજે અને નહીં તો તને સળગાવીને જમીનમાં દાટી દઇશું તેવી ધમકી આપતી હતી.

શહેરના સામ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાના વર્ષ-2013માં વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતા સંગ્રામ શિવાજી પાલેકર સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થયા હતા. સંગ્રામ પાયલટની નોકરી કરે છે. લગ્ન સમયે સંગ્રામે  દબાણ અને ધમકી આપીને લગ્નનો તમામ ખર્ચ પરણિતાના  પિયર પક્ષ પાસે કરાવ્યો હતો. પરણિતા લગ્ન પછી સાસરીમાં ગયા બાદ તેને ખબર પડી હતી કે, પતિ સંગ્રામને  દારૂ પીવાની ટેવ છે, દારૂ પીધા બાદ અપશબ્દો બોલીને પરણિતાને ઢોર માર મારતો હતો.  પરણિતાના સાસુ પણ જાતિવાચક શબ્દો બોલી અપમાન કરતા હતા. જોકે. સંસાર બચાવવા માટે પરણિતા બધુ મૂંગા મોઢે સહન કરતી હતી. પરણિતાને લગ્ન જીવન દરમિયાન 6 વર્ષનો પુત્ર છે.

સંગ્રામ સાસુની ચઢામણીથી પરણિતાને અપશબ્દો બોલતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. લગ્ન પછી પરણિતાને ખબર પડી હતી કે, પતિ સંગ્રામ ગુસ્સાવાળા, લાલચુ અને હવસખોર માનસિકતા ધરાવે છે. તેઓ દિવસ-રાત પરણિતાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા અને પરણિતા સાથે જાનવર જેવું વર્તન કરતા હતા. પતિના આવા વ્યવહાર માટે પરણિતા સાસુને જાણ કરતી હતી તો તેઓ કહેતા હતા કે, મારો દીકરો આવો જ છે તારે રહેવું હોય તો રહે હું તો તારા ઘરે જતી રહે. આ ઉપરાંત પતિ અને સાસુ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે, અમારે મરાઠી છોકરી લાવવી હતી પણ કરોડપતિને ત્યાં લગ્ન કરાવવા હતા અને  તારા જેવી છોકરી સાથે ફસાઈ ગયા. તેમજ પરિણતાના  પિતા પાસેથી 50 લાખ રૂપિયા લાવવા માટે પતિ અને સાસુ દબાણ કરતા હતા. પરિણતાના પતિ શંકાશીલ સ્વભાવના હોવાથી લગ્નબાદ નોકરી પણ છોડાવી દીધી હતી.

દરમિયાન લગ્નના ત્રણ-ચાર મહિનામાં પરિણતાના સાસુએ સંતાન પેદા કરવા માટે દબાણ કર્યું હતું અને પરિણતા ગર્ભવતી થતાં તમામ ખર્ચ પિયર પાસેથી કરવામાં આવે તેમ કહીને ત્રાસ આપ્યો હતો. પરિણતા ગર્ભવતી હતી. તે દરમિયાન સાસરીમાં પૂજા રાખવામાં આવી હતી. આ સમયે સાસુએ 70થી 75 લોકોનું જમવાનું પરિણતા પાસે બનાવડાવ્યું હતું. આમ માનસિક અને શારીરિક ત્રાસના કારણે ગર્ભમાં સવા બે મહિનાના બાળકનું મોત થયું હતું.

તેમજ ગર્ભપાત કરાવ્યાના બે-ચાર દિવસમાં જ પતિએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. અને પરણિતાને  બ્લીડિંગ થતું હોવા છતાં પતિએ હવસ સંતોષી હતી. ત્યારબાદ પરણિતા ફરીથી ગર્ભવતી બની હતી, જેથી ડોક્ટરે આરામ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે સાસુએ કહ્યું હતું કે, તારા પિયરમાંથી 50 લાખ રૂપિયા લઇને આવજે અને નહીં તો તને સળગાવીને જમીનમાં દાટી દઇશું. આખરે પતિ અને સાસુના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ સંગ્રામ શિવાજી પાલેકર વિરુદ્ધ દહેજધારા, મારઝૂડ અને ધાકધમકી ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top