Charchapatra

ઇઝરાયેલ અને હમાસ બંને એટલા હિંસક છે કે, સંયુક્ત રાષ્ટ્રોએ ‘લિસ્ટ ઑફ શેમ’માં મૂકવા પડયા

ઇઝરાયલ અને હમાસ એ ભલે હંમેશાં પોતાનાં અલગપણાને કારણે એકબીજાના વિરોધમાં રહેતા હોય, પરંતુ સંયુક્ત રાષ્ટ્રો ની એક યાદીમાં આ બન્ને એક જ સાથે જોવા મળ્યા છે. આ યાદી છે શરમની યાદી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘લિસ્ટ ઑફ શેમ’ એટલે કે જેમણે શરમ અનુભવવી જોઈએ તેમની યાદી જાહેર કરી છે, જેમાં ઇઝરાયલી સેના, હમાસ અને પેલેસ્ટાઇનના ઇસ્લામિક જેહાદના હથિયારબંધ સંગઠનોને મૂકવામાં આવ્યાં છે.

આ લિસ્ટમાં એ જૂથોને જોડવામાં આવ્યા છે કે જેમણે સંઘર્ષ કે યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન બાળકોને અતિશય નુકસાન પહોંચાડ્યું છે અને નિયમોના ગંભીર ઉલ્લંઘન કર્યા છે. આ લિસ્ટને બાળકો અને હથિયારબંધ સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં જોડવામાં આવી છે. તાજેતરનો રિપોર્ટ જાન્યુઆરી અને ડિસેમ્બર 2023ના વચ્ચેના સમયગાળાનો છે, જેને 13મી જૂને જાહેર કરવામાં આવ્યો હતો. 26મી જૂને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ રિપોર્ટ પર ચર્ચા થઈ.

આનું કારણ એ છે કે અહીં હિંસા અટકવાનું નામ નથી લેતી વિતેલા સપ્તાહની જ વાત કરીએ તો પેલેસ્ટાઈનમાં હમાસ સાથે યુદ્ધમાં ફસાયેલા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ તેના ટોચના કમાન્ડરની હત્યા બાદ અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં ઈઝરાયેલ પર 200થી વધુ રોકેટ છોડ્યા છે. તેમનું કહેવું છે કે દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના હુમલામાં તેમનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. 3 જુલાઈના રોજ, દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના વરિષ્ઠ કમાન્ડરોમાંના એક મોહમ્મદ નાસરની હત્યાની જાણ કરવામાં આવી હતી. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે હિઝબુલ્લાહના દાવાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઈઝરાયેલની એમ્બ્યુલન્સ સેવાએ પુષ્ટિ કરી છે કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પેલેસ્ટિનિયનો માટે તેના સમર્થનની ઘોષણા કરીને, હિઝબુલ્લાએ લેબનીઝ સરહદે ઇઝરાયેલના લક્ષ્યો પર હુમલા શરૂ કર્યા. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝામાં તેના હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી આ હુમલા ચાલુ રહેશે. આતંકવાદી સંગઠને યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી તેના હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.આ યુદ્ધના કારણે હજારો લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. રોઇટર્સના ડેટા અનુસાર, લેબનોનમાં ઇઝરાયેલી હુમલામાં 300 થી વધુ હિઝબુલ્લા લડવૈયાઓ અને 88 નાગરિકો માર્યા ગયા છે.

લેબનોન તરફથી ઈઝરાયેલના ગોળીબારમાં 18 સૈનિકો અને 10 નાગરિકોના મોત થયા છે. આ હુમલાના બીજા જ દિવસે એટલે કે શનિવારે ઇઝરાયલની સેનાએ એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા અને 75થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઇઝરાયલની સેનાએ પહેલા સ્કૂલને ઘેરી લીધી અને પછી હુમલો કર્યો હતો.  ઇઝરાયલના હુમલાને કારણે સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં બાળકો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં બે બાળકોનો બચાવ થયો છે જેમાંથી એક બાળકીને હાથમાં ગંભીર ઈજા થઈ છે. બીજા બાળકના ચહેરા અને માથા પર ઈજા થઈ છે.UNની રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર, ગયા મહિને પણ સેનાએ એક સ્કૂલને નિશાન બનાવી હતી. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. 50 ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બાકીનાને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.  ઇઝરાયલની સેનાએ સ્કૂલને આતંકવાદીઓનો અડ્ડો ગણાવ્યો હતો. હુમલાથી બચવા માટે સેંકડો શરણાર્થીઓ સ્કૂલની આસપાસના વિસ્તારમાંથી ભાગી ગયા છે. આ પહેલા ઇઝરાયલે સ્કૂલને સેફ ઝોન જાહેર કરી હતી. ગયા મહિને સ્કૂલ પર થયેલા હુમલામાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.

Most Popular

To Top