Gujarat

ભાજપે સૌરાષ્ટ્રમાંનો રિપીટ થીયરી અપનાવી

ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરીએ આજે સવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 69 ધરાસાભ્યને રિપીટ કર્યા છે. જયારે સૌરાષ્ટ્રમાં ચહેરાઓને બદલ્યા છે. જયારે સુરતમાં (Surat) તથા દક્ષિણ ગુજરાતમા પણ ફેરફાર કરાયા છે. હજુયે 22 ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે. 38 નવા ચહેરાને ટિકિટ અપાઈ છે. જયારે જૂન 38 ધારાસભ્ય પહેલી યાદીમાં કપાયા છે.

ભાજપ દ્વારા પહેલી યાદીમાં 69 ધારાસભ્યને રિપીટ કરાયા છે. જયારે પહેલી યાદી મુજબ 38 ધારાસભ્ય કપાયા છે. જયારે 38 જેટલા નવા ચહેરાઓને ટિકિટ અપાઈ છે. 14 જેટલી મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પૈકી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જયારે બીજા તબક્કની 93 બેઠકમાંથી 76 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં વટવા તથા ચોર્યાસી બેઠકના ઉમેદવારોની પંસદગી બાકી છે.

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તાવ ટિકિટ કપાઈ છે. મોરબી ઝુલતા બ્રિજ દુર્ધટના વખતે મચ્છુ નદીમાં કૂદી પડેલા કાન્તિ અમૃતિયાને ભાજપ હાઈકમાન્ડે ટિકિટ આપી છે. જયારે બ્રિજેશ મેરજા મોરબી કાંડ નડી ગયો છે. તેવી જ રીતે વડોદરાના સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને નાયક બનવાનું ભારે પડી ગયું છે. કચ્છમાંથી ડૉ નીમામાબેન આચાર્ય તથા મંત્રી વાસણ આહિરની ટિકિટ કપાઈ છે. કેબિનેટમાંથી રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રદીપ પરમારની ટિકિટ કરાઈ છે. જ્યારે રાજ્યકક્ષાના બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આરસી મકવાણાની ટિકિટ પણ કપાઈ છે. ભાજપના જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા સામે ગઈકાલે એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યકત્ત કરી છે, જેના પગલે હકુભાને પડતાં મૂકીને તેમના સ્થાને રીવાબા જાડેજાને ટિકિટ અપાઈ છે.

રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓની ટિકિટ કપાઈ છે. ગઈકાલે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ ડે મેયર નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ સહિતના મંત્રીઓએ ગઈકાલે જ પોતે ચૂંટણી લડવા માંગતા નથી , તેવી જાહેરાત કરી હતી.

39 પાટીદાર ઉમેદવારોને ટિકીટ અપાઈ
આજે ભાજપ નેતાગીરી દ્વારા જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાં 39 પાટીદાર, 6 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 9 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 6 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. 2017માં ભાજપને ઉત્તર ગુજરાતમાં થોડુક નુકસાન થયુ હતું. જેના પગલે આ વખતે ઉત્તર ગુજરાતમાં ચૌધરી તથા ઓબીસી ઉમેદવારોનું બેલેન્સ કરાયું છે. સાબરકાંઠામાં ઈડરમાં રમણલાલ વોરાને પુન:ટિકિટ અપાઈ છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી ભાજપે આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. આમાં ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે.

જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને આ વખતે સાચવી લેતા ટિકિટ આપી છે.જયારે જામનગરમાં રિવાબાને ટિકિટ અપાઈ છે. તેવી જ રીતે ગોંડલમાં ટિકિટ માટે ભારે આંતરીક ખેંચતાણ જોવા મળી હતી. તેના પગલે ભાજપ હાઈકમાન્ડે ગીતાબા જાડેજાને પુન: ટિકિટ આપી દીધી છે. સૌરાષ્ટ્રમાં કોંગી છોડીને આવેલા ધારાસભ્યો પૈકી કુંવરજી બાવળિયા . જવાહર ચાવડા , હર્ષદ રિબડીયા , ભગા બારડને ટિકિટ અપાઈ છે.

સુરત શહેરમાં 11 ધારાસભ્યોમાંથી ઉધનામાં વિવેક પટેલને પડતાં મૂકીને તેમના સ્થાને મનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવને પડતાં મૂકીને તેમના સ્થાને અશ્વિન પટેલને, વડોદરામાં અકોટા બેઠક પર જુના જનસંઘી મકરંદ દેસાઈના પુત્ર ચૈતન્ય દેસાઈને ટિકિટ અપાઈ છે.

Most Popular

To Top